ચલાલા શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમી અને ૪૫ ડિગ્રી જેટલા આકરા તાપમાન વચ્ચે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રાહત આપવા માટે એક સરાહનીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી. ગત ૩૧ મેના રોજ “જલારામ છાશ કેન્દ્ર” દ્વારા સમગ્ર શહેરમાં ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પુણ્યશાળી સેવાકાર્ય ચલાલાના મૂળ વતની અને હાલ રાજકોટમાં રહેતા જલારામભક્ત અને રઘુવંશી સેવકના આર્થિક સહયોગથી સફળતાપૂર્વક યોજાયું હતું. આ સમગ્ર માનવતાવાદી કાર્યનું સુંદર આયોજન અને સંચાલન સમાજસેવક પ્રકાશભાઈ કારીયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની ટીમે ચલાલાની વિવિધ ઝૂંપડપટ્ટીઓ તેમજ અન્ય જરૂરિયાતમંદ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. ત્યાં વસતા શ્રમિકો અને ગરીબ લોકોને આ કાળઝાળ ગરમીમાં ઠંડી અને તાજગીભરી છાશ પીવડાવીને
તૃપ્ત કર્યા હતા.









































