ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષો વચ્ચે નિવેદનબાજી તેજ બની છે. તાજેતરમાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા મુસ્લિમ મતદારોને રીઝવવા માટે આપવામાં આવેલા વિવાદાસ્પદ વચનોએ નવો વિવાદ છંછેડાયો છે. આપના નેતાઓએ જાહેરમાં વચન આપ્યું છે કે, જા તેમની સરકાર આવશે તો મુસ્લિમોને જ્યાં દરગાહ બનાવવી હશે ત્યાં છૂટ આપવામાં આવશે અને રસ્તા પર નમાઝ પઢવાની પણ મંજૂરી અપાશે.
આમ આદમી પાર્ટીના મુસ્લિમ મતદારોને રીઝવવા માટે જે નિવેદનો આપવામાં આવ્યા છે, તેનો જરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા અને જાહેર મંચ પરથી તેમને આડેહાથ લીધા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર્તા જ્યાં સુધી જીવતો છે, ત્યાં સુધી ગુજરાતની ધરતી પર કોઈ પણ પ્રકારનું ગેરકાનૂની કૃત્ય થવા દેવામાં આવશે નહીં.”
હર્ષ સંઘવીએ આપના આ વચનોને ‘મૂંગેરીલાલ કે હસીન સપને’ ગણાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત મજબૂત છે. વોટ બેંકની રાજનીતિ કરવા માટે કોઈ પણ પક્ષને નિયમોની વિરુદ્ધ જવાની પરવાનગી આપવામાં આવશે નહીં. મુસ્લિમ સમાજને ભડકાવીને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરનાર નેતાઓને તેમણે ચેતવણી આપી હતી. હર્ષ સંઘવીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, ગુજરાતની જનતા આવી ભડકાવનારી માનસિકતા અને તુષ્ટિકરણની રાજનીતિને સારી રીતે ઓળખે છે.
તેમણે જણાવ્યું કે ગુજરાતની પ્રજા આવતીકાલે મતદાન દ્વારા આવી માનસિકતા ધરાવતા લોકોને જડબાતોડ જવાબ આપશે. નિયમ વિરુદ્ધ જઈને સમાજમાં ઝેર ઘોળનારા નેતાઓ અને તેમના ‘આકાઓ’ને કાયદાના દાયરામાં રહીને સીધા કરી દેવામાં આવશે. તેમણે ગુજરાતની જનતાને ખાતરી આપી હતી કે રાજ્યમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહેશે, તેથી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. હર્ષ સંઘવીના આ આક્રમક વલણે સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપ સરકાર ‘તુષ્ટિકરણ’ને બદલે ‘કાયદાના શાસન’ પર ભાર મૂકી રહી છે. હવે જાવાનું એ રહેશે કે ચૂંટણીના પરિણામોમાં જનતા કયા પક્ષના એજન્ડાને સ્વીકારે છે.











































