ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગ્યા છે અને રાજકીય પક્ષો વચ્ચે રસ્સાખેંચ અને મતદારોને આકર્ષવાની કવાયત તીવ્ર બની છે. શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બધા જારશોરથી પ્રચાર કરી રહ્યા છે.
આણંદ જેવા આણંદમાં પણ રાજકીય પ્રચારનો ગરમાવો જાણે હાલની ગરમીને આંટી મારી દે તેવો બની ગયો છે. આણંદના સાંસદ મિતેશ પટેલે હવે જાણે મતદારોને ધમકી આપતા હોય તે ભાષામાં જણાવ્યું હતું કે ભૂલથી પણ કોંગ્રેસ જીતી તો રૂપિયો ય ગ્રાન્ટ નહીં મળે.
સાંસદ મિતેશ પટેલે આંકલાવ ખાતે આયોજિત જાહેર સભામાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીની હાજરીમાં ગ્રાન્ટ ફાળવવાને લઈને કરેલી ટિપ્પણીએ ગુજરાતના રાજકારણને હચમચાવી નાખ્યું છે. ચૂંટણીમાં અત્યાર સુધીમાં રાજકીય પક્ષો એકબીજા સામે આક્ષેપો કરતા હતા, ઉમેદવારોને તોડતા હતા અને ધાકધમકી આપતા હતા. હવે તેઓ મતદારોને પણ ધમકાવવા ઉતરી આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે જા આંકલાવ વિસ્તારની અંદર જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની એકપણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીતશે તો આ વિસ્તારે વિકાસ ભૂલી જવો પડશે. વિકાસ માટે કોઈ ગ્રાન્ટ જ નહીં મળે. મિતેશ પટેલે આ વાત ક્યાય ચોરીછૂપીથી કરી ન હતી. ખુલ્લા મંચ પરથી કરેલા ભાષણમાં જણાવ્યું હતું કે જિલ્લા અને તાલુકા પંચાયતમાં વિપક્ષ જીતશે તો ત્યાં વિકાસના કાર્યો માટે રૂપિયા જ નહીં અપાય. રૂપિયો પણ નહીં મળે.
ભાજપના આ સાંસદના નિવેદન સામે કોંગ્રેસે પણ વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું કે એક સાંસદની વાત તે સીધી રીતે બંધારણનો પણ ભંગ છે અને પ્રજાના અધિકારોનો ભંગ છે. આ પ્રકારનું નિવેદન સીધી તુમાખી જ કહેવાય. આણંદની પ્રજા આ પ્રકારના નિવેદનથી ડરે તેમ નથી. તેઓ તો જે તે વિસ્તારમાં જે મુજબ કામ થયું હશે તે મુજબ મત આપશે.









































