કોડીનાર તાલુકાના કડોદરા ગામે છેલ્લા ત્રીસેક વર્ષથી રહેતા અને છૂટક મજૂરી કરી એકલવાયું જીવન જીવતા આંબાલાલનું ટૂંકી માંદગી બાદ નિધન થયું છે. વ્યસનને કારણે બીમાર પડેલા આંબાલાલને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ગ્રામજનો તેમને ભોજન અને વસ્ત્રો પૂરા પાડી આત્મીયતા જાળવતા હતા. આ અંતિમ સમયે ગુરુનાનક સિંધી મંડળ, નગરપાલિકા સદસ્ય નરેશભાઈ ડાભી, પૂર્વ સરપંચ રામસિંગભાઈ અને હરિૐ સેવા ટ્રસ્ટના જે.કે. મેર દ્વારા હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા.