ગુજરાતમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામની સીમમાં આવેલી ‘સત્યા ડેરી પ્રોડક્ટસ’ નામની ફેક્ટરીમાં ઝેરી કેમિકલ, યુરિયા ખાતર અને અન્ય હાનિકારક પદાર્થો ભેળવી નકલી દૂધ બનાવાતું હોવાનું પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન ફેક્ટરીને સીલ કરી દેવાઈ છે અને રૂ. ૭૧.૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા એફએસએલ અધિકારીઓની ટીમે પ્રાંતિજના સલાલ ગામમાં આવેલી આ ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન ખુલ્યું કે ફેક્ટરીમાં દૂધ બનાવવા માટે યુરિયા ખાતર, કોસ્ટીક સોડા, વિવિધ પ્રકારના તેલ, ડિટર્જન્ટ પાવડર અને કેમિકલનો ઉપયોગ થતો હતો. આ દૂધ અને છાશ બજારમાં વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ખેલ ખેલવામાં આવી રહ્યો હતો.
દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં કાચો માલ, ભેળસેળયુક્ત દૂધ, છાશ, તેલ, કેમિકલ તેમજ અદ્યતન મશીનરી કબજે લેવામાં આવી છે. જેમાં અમુલ બ્રાન્ડના નામે ઉપયોગમાં લેવાતા વે પાવડર,એસએમપી પાવડર, પ્રીમિયમ પાવડર, યુરિયા ખાતર, નેનો યુરિયા, સોયાબીન અને પામોલીન તેલ, નાશ પાત્ર દૂધ-છાશ, સ્ટીલ ટેન્કો, પેસ્ટ્યુરાઈઝ મશીનો, પેકિંગ મશીનો, બલ્ક મિલ્ક કૂલિંગ યુનિટ, મીની ટ્રક, મોબાઈલ ફોન અને રોકડ રકમનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલની કિંમત અંદાજે ૭૧.૨૮ લાખ રૂપિયા હોવાનું પોલીસએ જણાવ્યું છે.
આ સમગ્ર કૌભાંડમાં પોલીસે પ્લાન્ટ ઓપરેટર કિશોર સહિત કુલ પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં પ્લાન્ટ ઓપરેટર જીતેન્દ્રકુમાર પટેલ, કર્મચારીઓ સચિન મકવાણા, કરણ પરમાર, અજયસિંહ પરમાર તથા એક બાળ શ્રમિકનો સમાવેશ થાય છે. ફેક્ટરીનો મુખ્ય માલિક રાકેશ ઉર્ફે ધમો નારાયણભાઈ પટેલ હાલ ફરાર છે. પોલીસ તેની ધરપકડ માટે શોધખોળ કરી રહી છે. કુલ છ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે.
યુરિયા અને ઝેરી કેમિકલથી બનાવવામાં આવતું દૂધ માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જાખમી છે. આવા દૂધના સેવનથી કિડની, લિવર, પાચન તંત્ર અને બાળકોના વિકાસ પર ગંભીર અસર પડી શકે છે. તબીબી નિષ્ણાતો અનુસાર લાંબા સમય સુધી આવા દૂધના સેવનથી જીવલેણ બીમારીઓ પણ થઈ શકે છે. આ કિસ્સાએ ફરી એકવાર ખાદ્ય સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં દૂધના ત્રણ હજારથી વધુ નમૂનાઓ ફેલ થયા હોવાનું વિવિધ રિપોર્ટમાં સામે આવ્યું છે. ૨૦૧૯માં માત્ર અમદાવાદમાં જ ૬૧ ટકા દૂધના નમૂનાઓ ગુણવત્તા કસોટીમાં નિષ્ફળ ગયા હતા. ફેટ અને સોલિડ્સમાં ગંભીર ખામીઓ નોંધાઈ હતી. પોલીસે ફેક્ટરીને સંપૂર્ણપણે સીલ કરી દીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. ફેક્ટરીમાંથી મળેલા દૂધ અને પદાર્થોના નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તપાસના આધારે વધુ આરોપીઓ સામે કાર્યવાહી થવાની સંભાવના છે.









































