ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તારીખ ૨૬ એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ૧૦૦ ટકા મતદાન કરવા સૌ નાગરિકોને અપીલ કરી છે. લોકશાહીના આ પવિત્ર મહાપર્વમાં રાજ્યના તમામ મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા તેમણે અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આપેલા સંદેશમાં જણાવ્યું કે, લોકશાહીમાં મતદાન માત્ર અધિકાર નથી, પરંતુ નાગરિક તરીકેનું પવિત્ર કર્તવ્ય પણ છે. તો આ સાથે જ પ્રથમ વખત વોટ આપતાં યુવા મતદારોને ઝ્રસ્એ શુભકામનાઓ પાઠવી.
તેમણે કહ્યું કે, દરેક મત રાજ્યના ગામ, તાલુકા, જિલ્લા અને શહેરોના સર્વાંગી વિકાસને વધુ વેગ આપશે. આ સાથે જ તેઓએ રાજ્યના તમામ મતદારોને ૨૬ એપ્રિલે પોતાના મતદાન મથક સુધી અવશ્ય પહોંચીને મતદાન કરવા તેમજ પરિવારજનો, મિત્રો, અને પડોશીઓને પણ મતદાન માટે પ્રેરિત કરવાની અપીલ કરી હતી.
૧૦૦ ટકા મતદાન”નો સંકલ્પ લઈને લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવવા તેમણે સૌને આવાહન કર્યું છે. વિકસિત ભારતથી વિકસિત ગુજરાત ના નિર્માણ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણીમાં તારીખ ૨૬ એપ્રિલ, રવિવારે સૌને મતદાન અવશ્યપણે કરવા હાર્દિક અપિલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આવતીકાલે ૨૬ એપ્રિલે મતદાન છે. તે પહેલા શુક્રવારે પ્રચાર પડઘમ શાંત થયા હતા. ઉમેદવારો મતદારોની વ્યક્તિગત મુલાકાતમાં લાગ્યા છે. પ્રચાર પડઘમ શાંત થતા ઉમેદવારો ડોર ટુ ડોર વ્યક્તિગત સંપર્કમાં લાગ્યા છે. પ્રચાર પડઘમ શાંત પડતા ઉમેદવાર સભા કે રેલી કે બેઠક નથી કરી શકતા. જાકે ઉમેદવાર વ્યક્તિગત સંપર્ક કરી લોકોને મળી શકે છે. ઉમેદવારો લોકો મતદાન કરે અને વધુમાં વધુ મતદાન થાય તેવી સમજ આપી રહ્યાં છે. દુકાનો અને મકાનો પર જઈ ઉમેદવારો વ્યક્તિગત રીતે સંપર્ક વધારી રહ્યાં છે.
ઉમેદવારો અને મતદારોની સાથે દિગ્ગજ નેતાઓ પણ આવતીકાલે ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્દર પટેલ સહિત અનેક નેતાઓ મતદાન કરશે. અમિત શાહ અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં આવેલ કામેશ્વર મહાદેવ નજીક સબ ઝોનલ ઓફિસ ખાતે પરિવાર સાથે મતદાન કરશે. તો મુખ્યમંત્રી શીલજ પ્રાથમિક શાળા મતદાન મથક ખાતે સવારે મતદાન કરશે.
આવતીકાલે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ છે. જેમાં ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ ગ્રામ પંચાયત તથા ૨૬૦ જેટલા તાલુકા પંચાયતોમાં મતદાન થશે. ચૂંટણીના આ મહાસંગ્રામ માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાનમાં છે. તો આ ઉપરાંત બીજા પણ અનેક પક્ષો મેદાનમાં છે. ચૂંટણી પહેલા ભાજપના ખોળામાં ૭૩૧ બેઠકો બિનહરીફ વિજેતા બનીને આવી ગઈ છે. ત્યારે બાકીની બેઠકો પર આવતીકાલે મહાસંગ્રામ જામશે.











































