સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (સુમુલ ડેરી)ની ચૂંટણીને લઈને રાજકીય માહોલ વધુ ગરમાયો છે. અંદાજે ૧૨ હજાર કરોડ રૂપિયાના વાર્ષિક ટર્નઓવર ધરાવતી આ સહકારી સંસ્થાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મની ચકાસણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસે પોતાના ઉમેદવારોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે કોંગ્રેસના તમામ ૧૧ ઉમેદવારોને તાત્કાલિક અસરથી અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવશે. તેમણે દાવો કર્યો કે ઉમેદવારો પર દબાણ અથવા ધાકધમકી થવાની આશંકાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે જા જરૂર પડશે તો ઉમેદવારોને ગુજરાત બહાર અથવા દેશ બહાર પણ લઈ જવામાં આવશે.
કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યો છે કે ઉમરપાડા બેઠકના કોંગ્રેસ સમર્થિત ઉમેદવારના દરખાસ્તકર્તા છેલ્લા ત્રણ દિવસથી ગુમ છે. પક્ષના નેતાઓએ આ ઘટનાને લઈને અપહરણની આશંકા વ્યક્ત કરી છે. જાકે, આ અંગે સત્તાવાર રીતે કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને સંબંધિત એજન્સીઓ તરફથી પણ કોઈ અધિકૃત નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
સુમુલ ડેરીની કુલ ૧૬ બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. ફોર્મ ચકાસણી બાદ પાંચ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હોવાનું જાહેર થયું છે. કોંગ્રેસે આ પ્રક્રિયા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે અને ચૂંટણીમાં દબાણ તથા ધાકધમકીનો માહોલ હોવાનો આક્ષેપ કર્યો છે.
ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું કે કોંગ્રેસ પશુપાલકોના હિતોની રક્ષા માટે ચૂંટણી લડી રહી છે અને ઉમેદવારોને સુરક્ષિત રાખવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે લોકશાહી પ્રક્રિયા નિષ્પક્ષ રીતે યોજાય તે માટે કોંગ્રેસ અંત સુધી લડત ચાલુ રાખશે.
બીજી તરફ, આ સમગ્ર મામલે ભાજપ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. હાલ ચૂંટણી પ્રક્રિયા યથાવત છે અને આગામી દિવસોમાં ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા બાદ અંતિમ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.










































