સુરત મહાનગરપાલિકાની સંકલન બેઠક દરમિયાન વરાછા વિસ્તારના મુદ્દાઓને લઈને ધારાસભ્ય કુમાર કાનાણીએ તંત્ર સામે કડક વલણ અપનાવ્યું હતું. ખાસ કરીને વરાછા રોડ બ્રિજ નીચે ફરી શરૂ થયેલા દબાણો અને રહેણાંક વિસ્તારોમાં ચાલી રહેલા ઇન્ડસ્ટ્રીયલ એકમોને લઈને તેમણે અધિકારીઓને સીધો સવાલ કર્યો હતો.
બેઠક દરમિયાન કાનાણીએ જણાવ્યું કે વરાછા બ્રિજ નીચે ફરીથી ગેરકાયદેસર દબાણો અને અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે. આ મુદ્દે તેમણે અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું હતું કે આવા તત્વોને હટાવવાની કાર્યવાહી થશે કે નહીં અને તેનો જવાબ “હા કે ના” માં આપવા કહ્યું હતું.
આ સાથે તેમણે રહેણાંક વિસ્તારોમાં ચાલતા ઇન્ડસ્ટ્રીયલ એકમોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. કાનાણીએ જણાવ્યું કે આવા એકમોને કારણે વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને અનેક પરિવારોને ત્યાંથી હિજરત કરવી પડી રહી છે. તેમ છતાં તંત્રના અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે તે બાબતે તેમણે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
ધારાસભ્યએ યાદ અપાવ્યું કે ભૂતકાળમાં તેમની રજૂઆત બાદ મનપાએ લગભગ ૧૫ દિવસ સુધી અભિયાન ચલાવી દબાણો દૂર કર્યા હતા અને તેનો સારો પરિણામ પણ જાવા મળ્યો હતો. પરંતુ થોડા સમય બાદ પરિસ્થિતિ ફરી પહેલાં જેવી બની જતા તેમણે તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. કાનાણીએ બંને મુદ્દાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે મનપા કમિશ્નર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે અધિકારીઓની અણઆવડત અને નિષ્ક્રિયતાને હાલની પરિસ્થિતિ માટે જવાબદાર ગણાવી તાત્કાલિક જવાબી પગલાં લેવા તાકીદ કરી હતી.










































