વડીયાના બરવાળા બાવળ રોડ પર આવેલા સદગુરુ નગર વિસ્તારમાં રાત્રીના સમયે દીપડો આવી ચડતાં સમગ્ર પંથકમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. આ વિસ્તારની ઝૂંપડપટ્ટી નજીક રખડતા શ્વાનનો શિકાર કરવા આવેલો દીપડો સાવ નજીક દેખાતાં સ્થાનિક રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, લોકોની અવરજવર અને હોબાળો થતાં દીપડો આઈટીઆઈ તરફ પલાયન થઈ ગયો હતો, જેથી મોટી જાનહાની ટળી હતી. આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટોના અભાવે ઘોર અંધારપટ છવાયેલો રહે છે, જેને કારણે હિંસક વન્યજીવોનો ખતરો વધ્યો છે. ગ્રામ પંચાયતને અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. સ્થાનિકોએ વન વિભાગને તાત્કાલિક પાંજરૂ મૂકવા અને પંચાયતને સત્વરે લાઈટો ચાલુ કરવા ઉગ્ર માંગ કરી છે.











































