પંજાબના લુધિયાણામાં કબડ્ડી ખેલાડી તેજપાલ સિંહની હત્યા બાદ વિપક્ષ આમ આદમી પાર્ટીની સરકાર પર હુમલો કરી રહ્યો છે. રાજ્યમાં ગુનાખોરીમાં થયેલા કથિત વધારા અંગે વિપક્ષે સરકાર પર આકરા પ્રહારો કર્યા, મુખ્યમંત્રી ભગવંત માનને પૂછ્યું કે શું આ તેમનો “રંગલા પંજાબ” છે. વિપક્ષી નેતા પ્રતાપ સિંહ બાજવાએ આરોપ લગાવ્યો કે આ અઠવાડિયે રાજ્યભરમાં હિંસક ગુનાઓ વધ્યા છે. કોંગ્રેસ નેતા બાજવાએ આરોપ લગાવ્યો કે પંજાબના લોકો આજે ભયમાં જીવી રહ્યા છે. ગુનેગારો રસ્તાઓ પર રાજ કરે છે જ્યારે મુખ્યમંત્રી, જેમની પાસે ગૃહ વિભાગ પણ છે, તેઓ સૂઈ રહ્યા છે. કબડ્ડી ખેલાડીની હત્યા ઉપરાંત, બાજવાએ ગુનાની અન્ય તાજેતરની ઘટનાઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે રાજ્યમાં પરિસ્થિતિ ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે માનસામાં એક જંતુનાશક દુકાનના માલિક પર ક્રૂર હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે ત્રણ સશસત્ર, માસ્ક પહેરેલા માણસોએ ધોળા દિવસે એક જ્વેલરીની દુકાન લૂંટી લીધી હતી. બાજવાએ આરોપ લગાવ્યો હતો કે, “આ સીએમ માનનું કહેવાતું ‘રંગલા પંજાબ’ (વાઇબ્રન્ટ પંજાબ) છે, જ્યાં ગુંડાઓ ખુલ્લેઆમ ફરે છે અને યુવાનો રસ્તાઓ પર મરી રહ્યા છે.” પંજાબ ભાજપના કાર્યકારી પ્રમુખ અશ્વિની શર્માએ પણ માન સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, “ન તો ઉદ્યોગપતિઓ સુરક્ષિત છે કે ન તો ખેલાડીઓ. શું આ તમારો ‘રંગલા પંજાબ’ છે?” પંજાબ કોંગ્રેસના વડા અમરિંદર સિંહ રાજા વારિંગે પણ આપ સરકાર પર નિશાન સાધ્યું. પંજાબના લુધિયાણાના જગરાવ શહેરમાં શુક્રવારે ૨૫ વર્ષીય કબડ્ડી ખેલાડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ તેજપાલ સિંહ તરીકે થઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના જિલ્લા મુખ્યાલયથી લગભગ ૪૫ કિલોમીટર દૂર લુધિયાણા (ગ્રામીણ) ના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસના કાર્યાલય પાસે બની હતી. પોલીસે જણાવ્યું હતું કે તેજપાલ સિંહ અંગત કારણોસર શહેરમાં આવ્યા હતા અને જાહેરમાં ગોળી મારીને હત્યા કરતા પહેલા પાંચ કે છ હુમલાખોરોએ તેમને નિર્દયતાથી માર માર્યો હતો.









































