લીલીયા મોટા તાલુકા પંચાયત પ્રમુખ જગદીશભાઈ દેથલિયાએ તાર ફેન્સીંગ યોજનાની મુદત વધારો અને લક્ષ્યાંક વધારવા અંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર પાઠવી રજૂઆત કરી છે. પત્રમાં જણાવાયું છે કે સરકાર દ્વારા જૂન મહિનામાં તાર ફેન્સીંગ માટે પૂર્વમંજૂરી આપવામાં આવી હતી, પરંતુ આ સમયગાળા દરમિયાન ખેડૂતો વાવેતરની કામગીરીમાં વ્યસ્ત હોવાથી કામ શરૂ કરી શકતા નથી. તેથી યોજનાની મુદત વધારવા અથવા માર્ચ-એપ્રિલ દરમિયાન મંજૂરી આપવાની માંગ કરવામાં આવી છે. વધુમાં લીલીયા તાલુકામાં ૩૦૦થી વધુ અરજીઓ થઈ હોવા છતાં માત્ર ૧૪ ખેડૂતોના ક્લસ્ટરને મંજૂરી મળતાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તમામ લાભાર્થી ખેડૂતોને યોજનાનો લાભ મળે તે માટે લક્ષ્યાંક વધારવાની માંગ પણ કરવામાં આવી છે.







































