મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લામાં ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં છ લોકોના મોત થયા છે. અકસ્માતમાં લગભગ ૪૦ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. અહેવાલો અનુસાર, ટ્રેક્ટર-ટ્રોલીમાં લગભગ ૫૦ લોકો પૂજા માટે જઈ રહ્યા હતા. ટ્રેક્ટર નિયંત્રણ ગુમાવીને ખાડામાં પલટી ગયું. મુખ્યમંત્રી મોહન યાદવે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું.
પોલીસે અહેવાલ આપ્યો છે કે ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં છ લોકોના મોત થયા છે અને ૪૦ અન્ય ઘાયલ થયા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે કરણપથ્થર પોલીસ સ્ટેશન હેઠળના બિજૌરા ગામ નજીક આ અકસ્માત થયો હતો. અધિક પોલીસ અધિક્ષક જગન્નાથ માર્કમે જણાવ્યું હતું કે ટ્રેક્ટર-ટ્રોલીમાં લગભગ ૫૦ લોકો સવાર હતા. અચાનક, ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો, જેના કારણે આ અકસ્માત થયો. તેમણે કહ્યું કે પીડિતો પદમનિયાથી બિજૌરા ગામ પૂજા માટે જઈ રહ્યા હતા.
અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના બાદ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાકે, બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ચાર અન્ય લોકો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘાયલોની ઉમરિયા જિલ્લાના પાલી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે.
મુખ્યમંત્રી મોહન યાદવે અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો. સીએમ મોહન યાદવે કહ્યું, “અનુપપુર જિલ્લાના પુષ્પરાજગઢના બિજૌરા ગામમાં ભક્તોને મંદિરમાં લઈ જતી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જવાથી થયેલા માર્ગ અકસ્માતમાં લોકોના અકાળે મૃત્યુ અને ઘાયલ થવાના સમાચાર અત્યંત દુઃખદ છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારોને ૪ લાખની નાણાકીય સહાય પૂરી પાડવાના નિર્દેશો જારી કર્યા છે, અને ઘાયલોની સારવાર ચાલી રહી છે. હું બાબા મહાકાલને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોને શાંતિ આપે અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થાય.”