પાટણ નગરપાલિકાએ શહેરના પિતાંબર તળાવ વિસ્તારની સરકારી જમીન પર થયેલા બિનઅધિકૃત દબાણો સામે કાર્યવાહી શરૂ કરી છે. નગરપાલિકા દ્વારા સંબંધિત લોકોને નોટિસ પાઠવી ૧૫ દિવસની અંદર સ્થળ ખાલી કરવાની સૂચના આપવામાં આવી છે. બીજીતરફ દબાણકારોએ ન્યાયિક સિધ્ધાતોનું પાલન કરાયું ન હોવાનું જણાવી આ નોટીસને પડકારી હતી. જાકે હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.
નગરપાલિકાની નોટિસ મુજબ નગરરચના યોજના-૨ (સમાલપાટી) હેઠળ સ્કીમ નંબર-૨માં આવેલા સર્વે/બ્લોક નંબર ૧૦૩૪, સિટી સર્વે નંબર ૨૧૮ અને અંતિમખંડ નંબર ૨૨૧ની જમીન પર આવેલા પિતાંબર તળાવ વિસ્તારમાં કેટલાક લોકોએ ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હોવાનું ધ્યાનમાં આવ્યું છે. નગરપાલિકાએ જણાવ્યું છે કે તળાવ, જળાશય અથવા વોટર બોડીની જમીન પર કોઈપણ પ્રકારનું દબાણ કે બાંધકામ કરવું પર્યાવરણ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન છે. ઉપરાંત તળાવની આસપાસનો વિસ્તાર નીચાણવાળો હોવાથી ભારે વરસાદ કે કુદરતી આપત્તિના સમયે જાનમાલને નુકસાન થવાની સંભાવના રહે છે.
આ કારણોસર નગરપાલિકાએ સંબંધિત લોકોને નોટિસ મળ્યાની તારીખથી ૧૫ દિવસની અંદર પોતાનો સામાન હટાવી જગ્યા સ્વેચ્છાએ ખાલી કરવા જણાવ્યું છે. જા નિર્ધારિત સમયમર્યાદામાં દબાણ દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા દ્વારા કોઈપણ વધુ તક આપ્યા વિના બિનઅધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નગરપાલિકાએ નાગરિકોને પર્યાવરણ સંરક્ષણ અને જાહેર સુરક્ષાના હિતમાં નિયમોનું પાલન કરવાની અપીલ પણ કરી છે.










































