શહેરમાં સાયબર ઠગાઈનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે બેંક કેવાયસી લોટરી અથવા પાર્સલ ફ્રોડના નામે લોકો સાથે છેતરપિંડી કરતા સાયબર ગઠિયાઓ હવે પોલીસ અને જેલ વિભાગના નામે પણ લોકોને નિશાન બનાવી રહ્યા છે. આ વખતે માધુપુરા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને પોતાના જેલમાં બંધ સગાને વહેલા બહાર લાવવાની ઉતાવળ ભારે પડી અને તેઓ ૪૫ હજારની સાયબર ઠગાઈનો ભોગ બન્યા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદીના એક સંબંધી હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યા છે. તેમના પેરોલ માટેની કાર્યવાહી ચાલી રહી હતી. આ દરમિયાન ફરિયાદીના મોબાઇલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો.
ફોન કરનાર શખ્સે પોતે સાબરમતી જેલમાંથી બોલતો હોવાનો દાવો કર્યો હતો. તેણે ભારે રૂઆબથી વાત કરતા જણાવ્યું કે, “તમારા સંબંધીના પેરોલ મંજૂર થઈ ગયા છે, પરંતુ સરકારી ફી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તાત્કાલિક ૪૫ હજાર ભરવા પડશે.”સાયબર ગઠિયાએ ફરિયાદીને કોઈ વિચારવાનો સમય આપ્યા વગર સતત દબાણ બનાવ્યું હતું. આરોપીએ ધમકી આપી હતી કે, “જા આગામી ૧૦ મિનિટમાં રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર નહીં થાય તો પેરોલની ફાઈલ કાયમ માટે રદ કરી દેવામાં આવશે.”
સગા વહેલા જેલમાંથી બહાર આવે તેવા ભાવનાત્મક દબાણ અને ભયના કારણે ફરિયાદીએ તપાસ કર્યા વગર જ આરોપીએ આપેલા બેંક એકાઉન્ટમાં તાત્કાલિક ૪૫ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા.પરંતુ પૈસા ટ્રાન્સફર થયા બાદ પણ જ્યારે જેલ તરફથી કોઈ સત્તાવાર મેસેજ કે પુષ્ટિ મળી નહીં અને ફોન કરનાર શખ્સનો મોબાઇલ સ્વીચ ઓફ થઈ ગયો, ત્યારે ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.
આ સમગ્ર મામલે ફરિયાદીએ તરત જ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સાયબર ફ્રોડનો ગુનો નોંધી જે બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા તેને ફ્રીઝ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.સાયબર સેલની મદદથી આરોપીઓ ક્યાંથી ઓપરેટ થઈ રહ્યા છે તેની માહિતી મેળવવા માટે ટેક્નિકલ તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસે લોકોને અપીલ કરી છે કે, જેલ પોલીસ કે કોઈપણ સરકારી વિભાગના નામે આવતાં ફોન પર તરત વિશ્વાસ ન કરવો. કોઈપણ પ્રકારની ફી ભરતા પહેલાં સત્તાવાર રીતે માહિતી ચકાસવી જરૂરી છે. ખાસ કરીને ઉતાવળ અને દબાણ બનાવીને પૈસા માંગવામાં આવે ત્યારે સાવચેત રહેવું જાઈએ.સાયબર ગઠિયાઓ હવે લોકોની લાગણીઓ અને પરિવારની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી રહ્યા છે, તેથી દરેક નાગરિકે વધુ સજાગ રહેવાની જરૂર છે.