શહેરના પૂણા વિસ્તારમાં માતા અને પુત્રીના મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે. પૂણા કેનાલ રોડ પર આવેલી શિવનગર સોસાયટીના મકાન નંબર ૨૨૭માંથી ૪૨ વર્ષીય જાશાબેન અને તેમની ૧૯ વર્ષીય પુત્રી મુસ્કાનના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પૂણા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા છે. પરિવારના પુત્ર આનંદ શ્રીવાસ્તવે તેમની સાથે છેલ્લા દોઢ વર્ષથી રહેતા હિમાંશુ સિંહ નામના યુવક પર હત્યાનો આરોપ લગાવ્યો છે. જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ અને ઘટનાક્રમ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
પરિવારના જણાવ્યા મુજબ, ઘટના સમયે ઘરમાં માત્ર જાશાબેન અને તેમની પુત્રી મુસ્કાન હાજર હતાં. પરિવારના અન્ય સભ્યો નોકરી અને શાળાએ ગયા હતા. બપોરે આશરે ૧૨ઃ૩૦થી ૧ વાગ્યાની વચ્ચે જાશાબેને તેમના પુત્ર આનંદને ફોન કર્યો હતો. ફોન પર તેમણે હિમાંશુ સિંહ તેમને માર મારી રહ્યો હોવાનું જણાવ્યું હતું. આનંદના જણાવ્યા મુજબ, હિમાંશુ તેમના ગામનો જ રહેવાસી છે અને છેલ્લા આશરે દોઢ વર્ષથી પરિવાર સાથે રહેતો હતો. પરિવારનો આરોપ છે કે અગાઉ પણ તે તેમને ગામમાંથી હાંકી કાઢવાની ધમકી આપતો હતો.
માતાનો ફોન આવ્યા બાદ આનંદ નોકરી પરથી ઘરે જવા નીકળ્યા હતા. જાકે, સરદાર માર્કેટ પાસે ટ્રાફિક હોવાથી તેમને પહોંચવામાં સમય લાગ્યો હતો. દરમિયાન તેમને ફરી ફોન આવ્યો કે માતાનું અવસાન થઈ ગયું છે. આનંદ ઘરે પહોંચ્યા ત્યારે આસપાસ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ઘરમાં તપાસ કરતાં પાછળના રૂમમાં જાશાબેનનો મૃતદેહ નીચે પડેલો જાવા મળ્યો હતો. તેમના ગળામાં સાડી લપેટાયેલી હતી અને સાડીનો કપાયેલો ભાગ પંખા સાથે લટકતો હોવાનું પરિવારનું કહેવું છે. બીજા રૂમમાં પુત્રી મુસ્કાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારના જણાવ્યા પ્રમાણે, તેના ગળા પર દબાવવાના નિશાન જોવા મળ્યા હતા. પોલીસે બંને મૃતદેહો નો કબજા મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસમાં વધુ એક મહત્વની બાબત એ છે કે માતા અને પુત્રી બંનેના મોબાઈલ ફોન ઘટનાસ્થળેથી મળી આવ્યા નથી, તેવું પરિવાર દ્વારા જણાવાયું છે. પરિવારે હિમાંશુ સિંહ પર શંકા વ્યક્ત કરી છે અને પોલીસ સમક્ષ તેની શોધખોળ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઘટનાના પગલે આરોપી હોવાનો પરિવારનો દાવો છે તે યુવક ફરાર હોવાનું જણાવાયું છે.આનંદે જણાવ્યું કે તેમનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો છે. પરિવારમાં પિતા અવધેશ શ્રીવાસ્તવ, માતા જાશાબેન, બે બહેનો ભાવના અને મુસ્કાન તેમજ બે નાના જાડિયા ભાઈઓ આદિત્ય અને અંશ છે. પિતા હીરા ઘસવાનું કામ કરે છે, જ્યારે આનંદ ડિજિટલ પ્રિન્ટીંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ૨ સપ્ટેમ્બરે છઠ પૂજાને લઈને આનંદ ખેતરમાંથી કુશ લઈને આવ્યા બાદ નોકરી પર ગયા હતા. બાદમાં ડબલ શિફ્ટ માટે રોકાઈ જવું પડ્યું હતું. ઘટના સમયે પિતા કામ પર હતા, આનંદ પણ નોકરી પર હતા અને બંને નાના ભાઈઓ શાળાએ ગયા હતા. તેથી ઘરમાં માત્ર માતા અને પુત્રી હાજર હોવાનું પરિવારનું કહેવું છે.
હાલ પૂણા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. બંને મૃતદેહો ને સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ સ્પષ્ટ થશે. બીજી તરફ, ગુમ થયેલા બંને મોબાઈલ ફોનની કાલ ડિટેઈલ્સ અને અન્ય ડિજિટલ ડેટા તપાસમાં મહત્વની કડી બની શકે છે. પોલીસ ફરાર યુવકની શોધખોળ કરી રહી છે અને ઘટનાના કારણ સહિત તમામ પાસાં તપાસી રહી છે.