રાજુલા એસટી ડેપોના નિષ્ઠાવાન કર્મચારી ભરતભાઈ વરુનો નિવૃત્તિ સન્માન સમારંભ તુલસીશ્યામ ખાતે એસટી પરિવાર, યુનિયનના આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ૧૬ સપ્ટેમ્બર, ૧૯૯૬થી કારકિર્દી શરૂ કરનાર ભરતભાઈએ રાજુલા ડેપોમાં ૨૬ વર્ષ અને ૭ મહિના સુધી પ્રશંસનીય સેવા આપી હતી. તેમના પિતા તરફથી મળેલી સેવા અને સંઘર્ષની પરંપરાને તેમણે મજૂર મહાજન સાથે જોડાઈને આગળ ધપાવી હતી.આ યાદગાર પ્રસંગે અધિકારીઓ અને સહકર્મચારીઓ દ્વારા ભરતભાઈનું સાફો, શાલ અને સન્માનચિહ્ન આપી ભાવભેર સન્માન કરાયું હતું, તેમજ ટીવી, એસી, સોના-ચાંદીના દાગીના જેવી કિંમતી ભેટો અર્પણ કરવામાં આવી હતી. અંતમાં, ભાવુક વિદાય લેતા ભરતભાઈએ એસટી નિગમ પ્રત્યે પોતાનો ઊંડો નાતો વ્યક્ત કર્યો હતો અને નિવૃત્તિ પછી પણ નિગમની સેવા માટે અડધી રાત્રે તત્પર રહેવાની ખાતરી આપી હતી.









































