સાવરકુંડલા શહેરમાં પુત્ર જેલમાં જવાના આઘાતમાં પિતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. પુત્ર જેલમાં જતાં પિતાને મન દુઃખ થયું હતું અને આ આઘાત સહન ન થતાં તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે વિજયભાઈ વિનુભાઈ ડાભી (ઉ.વ. ૨૩)એ જાહેર કર્યા મુજબ, વિનુભાઈ જાગાભાઈ ડાભી (ઉ.વ. ૫૦)નો દીકરો છેલ્લા આશરે દોઢેક મહિનાથી કોઈ કારણોસર જેલમાં બંધ હતો. જેથી તેમને મનમાં લાગી આવતા ગળાફાંસો ખાઈ લીધો હતો, જેના કારણે તેમનું મરણ નીપજ્યું હતું. આ ઘટનાને પગલે પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે. એલ. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.








































