સાવરકુંડલા શહેર સમસ્ત માલધારી સમાજ દ્વારા સાવર સામા પાદર ગામની ગૌચરની જમીન વન વિભાગને વનીકરણ અને નર્સરી માટે ફાળવવાના નગરપાલિકાના નિર્ણય સામે વિરોધ નોંધાવી મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સર્વે નંબર ૪૫૨/૧ પૈકીની ગૌચરની ૪૦૭-૭૩-૫૦ ચો.મી. જમીનમાંથી ૧૫-૦૦-૦૦ ચો.મી. જમીન વન વિભાગને ફાળવવા સંમતિ આપવામાં આવી છે. માલધારી સમાજે આક્ષેપ કર્યો હતો કે, સમાજને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય લેવાયો છે. ગૌચર પર અનેક માલધારી પરિવારો પશુધન સાથે નભે છે. તેથી ઠરાવ રદ કરી ગૌચર જમીન પશુઓ માટે અનામત રાખવાની માંગ કરાઈ હતી. માંગ નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી અપાઈ હતી.