ગુજરાત ભાજપના સંગઠન તેમજ મંત્રીમંડળમાં શક્ય ફેરફારને લઇને ગઈ કાલે રાત્રે દેશની રાજધાની દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાથસાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં હાજર રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.આ બેઠક રાત્રે ૧૧ વાગ્યા સુધી ચાલતી રહી અને લગભગ પાંચ કલાક સુધી ચર્ચાનો દોર ચાલુ રહ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં પ્રદેશના નવા સંગઠનનું ગઠન, મહામંત્રી તથા પ્રદેશ મંત્રીઓની નિમણૂક સંબંધિત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સાથે જ, આગામી દિવસોમાં ગુજરાતના મંત્રીમંડળમાં શક્ય ફેરફાર અને નવા ચહેરાઓને સામેલ કરવા અંગે પણ ચર્ચાઓ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવાના દ્રષ્ટિકોણથી આ બેઠકને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પારદર્શક અને કાર્યક્ષમ વહીવટ માટે સુસંગત ટીમ બનાવવાની તૈયારીમાં પાર્ટી ઊંડા મંથનમાં લાગી છે. આ બેઠકના પરિણામ સ્વરૂપે આગામી દિવસોમાં પાર્ટી તરફથી કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતોની શક્યતા નિવારી શકાતી નથી.મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસની ચર્ચાઓએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. તેમની સાથે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વક્રમા અને સંગઠન મહામંત્રી રત્નાકર પણ દિલ્હી પ્રવાસમાં જાડાયા છે. સુત્રોનું માનીએ તો દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ટોચના નેતાઓ સાથે તેમની બેઠક યોજાવવાની છે. છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારની અટકળો ચાલી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ અને સંગઠન મહામંત્રીના દિલ્હી પ્રવાસ મોટા ફેરફારના સંકેત આપતો જણાય છે. અગાઉ ૪ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ વચ્ચે મુલાકાત થઇ હતી આમ ૪૦ દિવસમાં જ બીજીવાર પીએમ અને સીએમની મુલાકાતને લઇ રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ થઇ રહી છે. બીજી તરફ, કેટલાંક સૂત્રો એ પણ સંકેત આપી રહ્યા છે કે પ્રવાસનો હેતુ માત્ર રાજકીય નહીં, અન્ય વહીવટી મુદ્દાઓ પર પણ ચર્ચા કરવાનો હોઈ શકે છે.સુત્રોનું માનીએ તો જા મંત્રીમંડળમાં ફેરફાર થાય તો સંભવિત ફેરફાર અનુસાર નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, પાણીપુરવઠામંત્રી કુંવરજી બાવળિયા, ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરા, શિક્ષણમંત્રી કુબેર ડિંડોર અને સામાજિક ન્યાય અને અધિકારિતામંત્રી ભાનુબેન બાબરિયાને મંત્રીમંડળમાંથી બહાર કરવામાં આવી શકે છે. એ જ રીતે રાજ્યકક્ષાના જે મંત્રીઓમાં મત્સ્ય અને પશુપાલનમંત્રી પુરુષોત્તમ સોલંકી, પંચાયતમંત્રી બચુભાઈ ખાબડ, વન અને પર્યાવરણમંત્રી મુકેશ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠામંત્રી ભીખુસિંહ પરમાર તથા આદિજાતિ વિકાસમંત્રી કુંવરજી હળપતિ તેમજ પ્રફુલ પાનસેરિયાને મંત્રીપદેથી દુર કરવામાં આવી શકે છે.મંત્રીમંડળમાં જે નેતાઓને સ્થાન મળી શકે તેમ છે તેવા નેતાઓની યાદી પર નજર કરીએ તો જયેશ રાદડિયા, હાલના વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી, રાજકોટના ઉદય કાનગડ, વેજલપુરના અમિત ઠાકર, એલિસબ્રિજના અમિત પોપટલાલ શાહ, ભાવનગરના હીરા સોલંકી, અમરેલીના મહેશ કસવાલા, કૌશિક વેકરિયા, દક્ષિણ ગુજરાતના સંદીપ દેસાઈ, સંગીતા પાટીલ, જામનગરનાં રીવાબા જાડેજા અને પોરબંદરના અર્જુન મોઢવાડિયા અને માંડવી-કચ્છના અનિરુદ્ધ દવે તથા નડિયાદના પંકજ દેસાઈનો સમાવેશ થઈ શકે છે.







































