રાજ્યની પાયાની સેવાઓ સંભાળતી આશાવર્કર અને આંગણવાડીની ૧.૪૦ લાખ બહેનો ફરી એકવાર સરકાર સામે મેદાને ઉતરી છે. પડતર પ્રશ્નો અને ખાસ કરીને ઓનલાઈન કામગીરીના બહિષ્કાર સાથે બહેનોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ગજવી હતી. જાકે, આ પ્રદર્શન દરમિયાન આગેવાન ચંદ્રિકા સોલંકી સહિત આશરે ૧૦૦ જેટલી મહિલાઓની પોલીસે અટકાયત કરી છે.
આંગણવાડી બહેનોનો સૌથી મોટો આક્રોશ સરકારી મોબાઈલ ફોનને લઈને છે. વર્ષ ૨૦૨૨માં સરકારે નવા મોબાઈલ આપવાનું વચન આપ્યું હતું, જે હજુ સુધી પૂર્ણ થયું નથી. જૂના મોબાઈલ ચાલતા નથી અને એપ્લિકેશન નબળી હોવાથી ડેટા એન્ટ્રી કરવી મુશ્કેલ બની છે. ગ્રામીણ વિસ્તારોમાં નેટવર્ક નથી, પરિણામે બહેનો બાળકોને પોષણ આપવાને બદલે આખો દિવસ ડેટા એન્ટ્રીમાં જ વ્યસ્ત રહે છે. નાછૂટકે બહેનો પોતાના ખાનગી મોબાઈલથી સરકારી કામ કરવા મજબૂર છે. જેના વિરોધમાં હવે ૮૦% બહેનોએ ઓનલાઈન કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે.
બહેનોનો આરોપ છે કે, સરકાર હાઈકોર્ટના આદેશોની પણ અવગણના કરી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી પગારમાં કોઈ નોંધપાત્ર વધારો કરાયો નથી. ચાર-ચાર બજેટ પસાર થયા હોવા છતાં, છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવા પહોંચાડતી આ બહેનો માટે કોઈ જાગવાઈ કરાઈ નથી. ૨૦૨૨માં પાંચ મંત્રીઓએ પગાર વધારાનું આશ્વાસન આપ્યું હતું, જે ચાર વર્ષ પછી પણ અમલમાં આવ્યું નથી.
જો સરકાર તેમની ૧૨ મુખ્ય માંગણીઓ સ્વીકારવામાં વિલંબ કરશે, તો આગામી દિવસોમાં આખા રાજ્યમાં આંગણવાડી અને આશા વર્કરો અચોક્કસ મુદ્દતની હડતાલ પર જઈ શકે છે. પાયાના સ્તરની આ કામગીરી અટકી પડતા ગ્રામીણ આરોગ્ય અને બાળકોના પોષણ અભિયાન પર મોટી અસર થવાની ભીતિ છે.










































