જસદણ તાલુકાના આટકોટમાં કલાલના બંગલા પાસે પુત્રીને ભગાડી જવાના મામલે બે કૌટુંબિક પરિવારો વચ્ચે લોહિયાળ જૂથ અથડામણ થઈ હતી. આ હિંસક ઘટનામાં સામસામે પથ્થરમારો, છરી અને પાઈપ જેવા હથિયારો વડે હુમલો થતાં બંને પક્ષના કુલ ૧૧ લોકો ઘવાયા હતા. આ મામલે આટકોટ પોલીસે ચાર મહિલાઓ સહિત કુલ ૧૯ શખ્સો વિરુદ્ધ રાયોટિંગ તેમજ હુમલાની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ પક્ષના ઉષાબેન સાઢમિયાએ ગજુ વાઘેલા, ગોવિંદ વાઘેલા સહિત નવ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. તેમનો આક્ષેપ છે કે આરોપીઓએ તેમના પુત્ર મેહુલ પર દીકરીને ભગાડી જવાનો ખોટો આરોપ લગાવી પથ્થરમારો કર્યો હતો અને લોખંડના પાઈપ વડે તેમના પતિ હસુભાઈનું માથું ફોડી નાખ્યું હતું. જ્યારે સામા પક્ષના લત્તાબેન વાઘેલાએ મેહુલ અને હસુ સાઢમિયા સહિત ૧૦ લોકો સામે વળતી ફરિયાદ નોંધાવી છે. તેમનું કહેવું છે કે તેમની સગીર દીકરી ગુમ જણાતા શંકાના આધારે આટકોટ પૂછપરછ કરવા જતાં સામાવાળા ઉશ્કેરાઈ ગયા હતા અને પથ્થરો તેમજ છરી વડે હુમલો કર્યો હતો. હાલ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.