અમદાવાદમાં ચોમાસાની શરૂઆત બાદ હવે શહેર સામે માત્ર વરસાદ અને પાણી ભરાવાની સમસ્યા નથી રહી, પરંતુ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાનો ડબલ પડકાર ઊભો થયો છે. એક તરફ વરસાદી પાણી ભરાતાં મચ્છરોનાં બ્રીડિંગ સ્પોટ વધી રહ્યાં છે અને ડેન્ગ્યુ-મેલેરિયા જેવા રોગોનું જોખમ વધ્યું છે, તો બીજી તરફ પાણીની લાઇનમાં લીકેજ, દૂષિત પાણી અને ગંદકીના કારણે ઝાડા-ઊલટી સહિતના પાણીજન્ય રોગોની ફરિયાદો સામે આવી રહી છે.
અમદાવાદની સરકારી હોસ્પિટલમાં સામાન્ય તાવ, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ઊલટી-ઝાડા અને ડીહાઇડ્રેશન જેવી ફરિયાદો સાથે દર્દીઓ આવી રહ્યા છે. ચોમાસામાં એક જ પ્રકારનાં લક્ષણો અનેક રોગોમાં જોવા મળતાં ડોક્ટરોને જરૂરી તપાસ કરાવવી પડે છે. આ સ્થિતિમાં સૌથી વધુ અસર દર્દીઓની ઓપીડી, તપાસની પ્રક્રિયા અને પરિવારના આરોગ્ય ખર્ચ પર પડી રહી છે. સરકારી હોસ્પિટલમાં ઓછી કિંમતમાં સારવાર મેળવવા માટે દર્દીનો ધસારો છે, જ્યારે ખાનગી દવાખાનામાં ઝડપી કન્સલ્ટેશન માટે આવતા દર્દીની સંખ્યા વધી રહી છે. જે દર્દી સરકારી હોસ્પિટલની લાંબી લાઇન ટાળવા માગે છે, તેઓ નજીકનાં ખાનગી કલીનિકનો વિકલ્પ પસંદ કરે છે. સ્થાનિક ખાનગી દવાખાનાંમાં પણ તાવ, ગેસ્ટ્રો અને વાઈરલ ઇન્ફેક્શનની ફરિયાદો સાથે દર્દી આવી રહ્યા છે
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા એએમસી દ્વારા બ્રીડિંગ ચેકિંગ, ફોગિંગ અને લાર્વિસાઇડ કામગીરી કરવામાં આવે છે. અગાઉની મ્યુનિસિપલ કામગીરીમાં એક જ સપ્તાહમાં ૭૯૮ જેટલા મચ્છર બ્રીડિંગ સ્પોટ તપાસવામાં આવ્યાં હતાં અને ૫૯૯ યુનિટને દંડ કરવામાં આવ્યો હતો, મચ્છર નિયંત્રણમાં માત્ર જાહેર સ્થળો નહીં, પરંતુ રહેણાક અને વ્યાવસાયિક મિલકતો પણ મહત્વની કડી છે.










































