રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં પિતા-પુત્રના સંબંધને કલંકિત કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ બાબુભાઈ રઘાભાઈ સવસેટાએ પોતાના જ એકના એક પુત્ર રામાભાઈ સવસેટા પર ઊંઘ દરમિયાન હથોડાથી જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને પગલે રામાભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પુત્રની હત્યા કર્યા બાદ આરોપી પિતા પોતે જ ભક્તિનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પોલીસ સમક્ષ ઘટનાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે.મળતી પ્રાથમિક વિગતો અનુસાર, બાબુભાઈની કેટલીક કુટેવોને લઈને પરિવારજનો વચ્ચે અવારનવાર મતભેદ અને બોલાચાલી થતી હતી. આ મુદ્દે પત્ની અને પુત્ર સાથે પણ ઘરકંકાસ રહેતો હોવાનું જણાવાયું છે. બનાવના દિવસે બાબુભાઈની પત્ની પોતાની દીકરીના ઘરે ગઈ હતી. દરમિયાન ઘરમાં પિતા અને પુત્ર બંને એકલા હતા. આ દરમિયાન રામાભાઈ ઊંઘી રહ્યા હતા ત્યારે બાબુભાઈએ તેમના માથાના ભાગે હથોડાથી ગંભીર પ્રહાર કર્યો હતો. હુમલામાં રામાભાઈને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
પુત્ર પર જીવલેણ હુમલો કર્યા બાદ બાબુભાઈ ત્યાંથી ફરાર થવાના બદલે સીધા ભક્તિનગર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ત્યાં તેમણે પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. હાલ સમગ્ર મામલે હત્યાના કારણ સહિતના મુદ્દાઓ અંગે તપાસ ચાલી રહી છે.આ ઘટનાએ સવસેટા પરિવારને ભારે આઘાતમાં ધકેલી દીધો છે. રક્ષાબંધનનો તહેવાર નજીક છે ત્યારે ત્રણ બહેનોએ પોતાના એકના એક ભાઈને ગુમાવ્યો છે. પિતાના હાથે જ પુત્રની હત્યા થતાં પરિવાર અને આસપાસના વિસ્તારમાં શોક અને અરેરાટીનો માહોલ જાવા મળ્યો છે. પોલીસ દ્વારા ઘટનાની તમામ હકીકતો, હત્યા પાછળનું ચોક્કસ કારણ અને અગાઉના ઘરકંકાસ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતીના આધારે આ ઘટનાને લઈ કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.









































