અમદાવાદ જિલ્લાના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન હદમાં કરિયાણાની દુકાન ચલાવતા વેપારી પર જીવલેણ હુમલો થયો હતો, જે મામલે પોલીસે ગુનામાં સામેલ એડવોકેટ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે, પોલીસની તપાસમાં સામે આવ્યું કે વેપારી એક આરોપીને આપેલા ઉછીના રૂપિયા પરત માંગતા આ હુમલો થયો હતો, અને હુમલા માટે સોપારી પણ આપવામાં આવી હતી. કોણ છે આરોપીઓ અને શું છે સમગ્ર મામલો?
આ આરોપીઓના નામ ઈમ્તીયાઝ શેખ, અઝરૂદ્દીન ઉર્ફે મામા શેખ, રાજેશ મહિડા અને સરો ઉર્ફે બટમ અન્સારી છે. ગુનાની વિગતે વાત કરીએ તો મૂળ તમિલનાડુના રહેવાસી હાને હાલ વિવેકાનંદ નગરમાં રહી કરિયાણાની દુકાન ચલાવતા નંદલાલ મુદલીયાર ૯ જુલાઈના રોજ પોતાની દુકાને હતા, તે સમયે ત્રણ આરોપીઓએ તેમની દુકાને આવ્યા હતા અને ઈમ્તીયાઝ શેખ નામના આરોપીએ છરીના ૬ જેટલા ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જે મામલે વિવેકાનંદ પોલીસને જાણ થતા જ પોલીસે વેપારીની પૂછપરછ કરતા તેણે વકીલાત કરતા રાજેશ મહિડા સામે શંકા વ્યક્ત કરી હતી.
પોલીસે ટેકનિકલ એનાલિસિસ કરી અંતે રાજેશ મહિડાને પકડી પૂછપરછ કરતા તેણે વેપારીની હત્યાના પ્રયાસ માટે અન્ય ત્રણ આરોપીઓને સોપારી આપી હોવાની કબુલાત કરી હતી. રાજેશ મહિડાએ ઈમ્તીયાઝ શેખને ૨૦,૦૦૦ અજરરૂદ્દીન ઉર્ફે મામા શેખ અને સરો અન્સારીને ૫-૫ હજાર રૂપિયા આપ્યા હતા. તેમજ બનાવના આગલા દિવસે રેકી કરવા માટે ?૩,૫૦૦ માં કાર પણ ભાડે કરાવી આપી હતી. રૂપિયા માંગનાર વેપારીને બીજાઓ પહોંચે અને તે ૧૫-૨૦ દિવસ સારવાર હેઠળ રહી અને રાજેશ મહિડાને રૂપિયાની વ્યવસ્થા કરવાનો સમય મળી જાય તેવા ઈરાદા સાથે તેણે આ હુમલો કરાવ્યો હતો.
ભોગ બનનાર વેપારી નંદકુમાર મુદલીયાર સામે વર્ષ ૧૯૯૮ માં હત્યાનો ગુનો દાખલ થયો હતો. જે કેસમાં તેને વર્ષ ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા અને તેના કોર્ટના કામ રાજેશ મહિડા કરતો હતો. જેથી બંને વચ્ચે પરિચય હતો. રાજેશ મહિડાને
પ્રેમ લગ્ન કરવા હોવાથી રૂપિયાની જરૂર હતી અને જેથી તેણે પોતાનું ઘર નંદકુમાર મુદલીયાર પાસે ગીરવે મૂકી ૪ લાખ રૂપિયા ઉછીના લીધા હતા. જે રૂપિયા વેપારી અવારનવાર માંગતા તેણે આ ગુનાને અંજામ આપ્યો હતો. તેવામાં પોલીસે હાલ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.







































