ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શનિવાર, ૨૨ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ન્યુ જર્સીના રોબિન્સવિલે સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અક્ષરધામ દ્વારા ભારતની અધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતની પ્રેરક પ્રસ્તુતિ, સમાજસેવા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા અને સ્વયંસેવકોના અસાધારણ સમર્પણ માટે ઊંડી પ્રશંસા વ્યક્ત કરી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગમન પ્રસંગે બી.એ.પી.એસ. સંસ્થા વતી પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી અને પૂજ્ય નીલકંઠસેવાદાસ સ્વામીએ તેમનું પુષ્પહારથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીની સાથે ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પણ હાજર હતું, જેમાં નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ; મુખ્યમંત્રીના અગ્ર સચિવ ડો. સંજીવ કુમાર અને મુખ્યમંત્રીના સચિવ વિક્રાંત પાંડેનો સમાવેશ થાય છે.મુખ્યમંત્રીએ જણાવ્યું કે અક્ષરધામ ભારતના સેવા, આધ્યાત્મિકતા અને શ્રેષ્ઠતાના શાશ્વત મૂલ્યોને વિશ્વભરના સમુદાયો સુધી પહોંચાડી રહ્યું છે. તેમણે વિદેશમાં વસતા ભારતીય સમુદાય માટે સાંસ્કૃતિક મૂલ્યોના જતનના મહત્વ પર ભાર મુક્યો હતો. મુખ્યમંત્રીએ હાલમાં નિર્માણાધીન અક્ષરધામ મ્યુઝિયમની વિશેષ મુલાકાત પણ લીધી હતી. અમેરિકાના પ્રથમ હિન્દુ મ્યુઝિયમોમાંનું એક એવું આ મ્યુઝિયમ ભારતની સમૃદ્ધ વિરાસત અને સંસ્કૃતિને પ્રદર્શિત કરશે.આ મ્યુઝિયમમાં ૧૨ સ્થાપત્ય પ્રતિકૃતિઓ, ૪૦ મલ્ટીમીડિયા શો, ૮૫ ડાયોરામા અને ૨૦૦ પ્રતિમાઓ હશે. તેમણે આ મ્યુઝિયમને એક એક અનોખું સીમાચિહ્ન ગણાવ્યું હતું, જે દરેક વય અને પૃષ્ઠભૂમિના મુલાકાતીઓને શ્રદ્ધા, સંવાદિતા, કરુણા, પારિવારિક મૂલ્યો અને નિઃસ્વાર્થ સેવાના સાર્વત્રિક આદર્શો સાથે જાડાવાની તક આપશે. તેમણે જણાવ્યું કે આ શાશ્વત સિદ્ધાંતો ગુજરાતની પ્રગતિને સતત માર્ગદર્શન આપી રહ્યા છે અને ભારતની સાંસ્કૃતિક ઓળખને મજબૂત બનાવે છે, સાથે જ વિશ્વભરના લોકો અને સંસ્કૃતિઓ માટે પણ એટલા જ પ્રસ્તુત છે.બી.એ.પી.એસ. ના વરિષ્ઠ સંત પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ જણાવ્યું, આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રોબિન્સવિલે સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાતે આવકારતાં ગૌરવ અનુભવીએ છીએ. તેઓ મંદિરની સુંદર કોતરણી તથા તેના વિશાળ કદ અને વ્યાપથી તો મંત્રમુગ્ધ થયા જ, પરંતુ તેના શાંત અને અધ્યાત્મિક વાતાવરણથી પણ અત્યંત પ્રભાવિત થયા હતા. મ્યુઝિયમની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ‘તમે ભારતની પ્રાચીન સંસ્કૃતિને પુનઃ જીવંત કરી દીધી છે.’ મુખ્યમંત્રીશ્રીએ અક્ષરધામમાં સેવા આપતા સ્વયંસેવકો સાથે પણ મુલાકાત કરી હતી.તેમણે સ્વયંસેવકોની શિસ્ત, નમ્રતા, આતિથ્ય-ભાવના અને નિઃસ્વાર્થ સેવાની ભાવનાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું, હું હૃદયપૂર્વક તમામ બી.એ.પી.એસ. સ્વયંસેવકોનો અક્ષરધામના નિર્માણમાં તેમના પ્રદાન બદલ આભાર માનું છું, જે આવનારી અનેક પેઢીઓને પ્રેરણા આપશે. વિશ્વભરમાંથી અહીં આવનાર દરેક વ્યક્તિ, પછી ભલે તે ગમે ત્યાંથી આવે, અહીં શાંતિનો અનુભવ કરશે.મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન અમેરિકાભરમાંથી ડેલિગેટ્સ અને વિવિધ સમુદાયોના અગ્રણીઓ એકત્ર થયા હતા. આ મુલાકાતે વિશ્વભરમાં ભારતની સમૃદ્ધ અધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતના જતન અને પ્રસારમાં બી.એ.પી.એસ. ની મહત્વપૂર્ણ ભૂમિકાને વધુ ઉજાગર કરી હતી. મંદિરો, શૈક્ષણિક કાર્યક્રમો, રાહત કાર્યો, આરોગ્ય સેવાઓ, બી.એ.પી.એસ. સંસ્થા ગુજરાત, સમગ્ર ભારત અને વેશ્વિક સ્તરે સમાજની સેવામાં નોંધપાત્ર યોગદાન આપી રહી છે.









































