તમિલનાડુના મુખ્યમંત્રી સી. જાસેફ વિજયે સ્વતંત્રતા દિવસ નિમિત્તે એક નવી યોજનાની જાહેરાત કરી. આ યોજના હેઠળ, રાજ્યમાં જન્મેલા બાળકોને સોનાની વીંટી ભેટમાં આપવામાં આવશે. આ યોજના ૧૫ સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે અને તેનો ખર્ચ આશરે ૭૫૫ કરોડ થશે.સ્વતંત્રતા દિવસના ભાષણમાં મુખ્યમંત્રી વિજયે કહ્યું, “ભ્રષ્ટાચાર નાબૂદ કરવો એ સ્વતંત્રતા સમાન છે. સરકાર આ ધ્યેય તરફ કામ કરી રહી છે. અમે અમારી સરકાર વિરુદ્ધ કામ કરતી શક્તિઓ અને કાવતરાઓને હરાવીશું. ૧૫ સપ્ટેમ્બરના રોજ, નવજાત શિશુઓ માટે ૭૫૫.૮૩ કરોડના ખર્ચે સોનાની વીંટી ભેટ યોજના શરૂ કરવામાં આવશે.”
મુખ્યમંત્રી વિજયે ૮૦મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ચેન્નાઈમાં રાજ્ય સચિવાલય ખાતે ત્રિરંગો લહેરાવ્યો. તેમણે જણાવ્યું હતું કે તેમની સરકાર એવી નીતિઓનો વિરોધ કરવાનું ચાલુ રાખશે જે તેમના મતે રાજ્યના અધિકારોને નબળી પાડે છે. તેમણે કેન્દ્ર સરકાર સાથે વહીવટી સહયોગ જાળવવા વિશે પણ વાત કરી હતી. સ્વતંત્રતા દિવસના પોતાના પહેલા ભાષણમાં મુખ્યમંત્રી વિજયે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર સામે લડવું એ સ્વતંત્રતાનો આવશ્યક ભાગ છે. તેમણે એ પણ ભાર મુક્યો કે સરકાર આ ઉદ્દેશ્ય તરફ કામ કરી રહી છે.મુખ્યમંત્રીએ જણાવ્યું કે તેમની સરકારે સરકારી આવક ખાનગી હાથમાં ન જાય તે માટે જરૂરી પગલાં લીધા છે. તમામ સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારને રોકવા માટે પણ પ્રયાસો ચાલી રહ્યા છે. અભિનેત્રી ત્રિશા, વિજયના પિતા ચંદ્રશેખર અને તમિલનાડુના મંત્રીઓએ તમિલનાડુના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.
પોતાના સંબોધનની શરૂઆત કરતા, સીએમ વિજયે લોકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું, “હું આપણી સ્વતંત્રતા માટે પોતાના જીવનું બલિદાન આપનારા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને સલામ કરું છું.” તેમણે ઉમેર્યું, “જ્યારે લોકોને ખ્યાલ આવે છે કે તેમની સાથે ગુલામ જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે એકતાની ભાવના વિકસે છે. બધા એક સાથે આવવા લાગે છે. જાતિ ભેદભાવનો અંત આવે છે, અને જ્યારે જાતિ અને ધાર્મિક ભેદભાવ અદૃશ્ય થઈ જાય છે અને બધા એક સાથે આવે છે, ત્યારે તે સાચી સ્વતંત્રતા છે.”








































