અમરેલી ખાતે કારગિલ વિજય દિવસ નિમિત્તે નટરાજ થિયેટર, વીર શહીદ મનીષ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે ‘વીર વંદન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ સૈનિકો, હાલ સેવામાં ફરજ બજાવતા જવાનો તેમજ તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેશભક્તિના ગીતો અને શહીદોને અર્પિત કાર્યક્રમ દ્વારા કારગિલ યુધ્ધના શૂરવીરોને ભાવભીની શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. નગરપાલિકાના હોદ્દેદારો, વિવિધ રાજકીય, સામાજિક અને સેવાકીય સંસ્થાઓના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાજ્યના ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરિયાએ કાર્યક્રમના આયોજન બદલ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન નિમેશ રાજપૂત અને ભરત વાજાએ કર્યું હતું.