અમદાવાદના પથ્થરકુવા વિસ્તારમાં આવેલી જ્યોતિસંઘ સંસ્થામાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી છે. બાળકોની કસ્ટડી મુદ્દે ચાલી રહેલા કાઉન્સેલિંગ દરમિયાન એક મહિલાએ પોતાના પતિ દ્વારા કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ નોંધાવી છે. ઘટનામાં મહિલા ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, અસારવા વિસ્તારમાં રહેતી ૩૨ વર્ષીય દક્ષાબહેન રાવળ કાઉન્સેલિંગ પ્રક્રિયા માટે જ્યોતિસંઘ સંસ્થામાં હાજર હતા. ત્યાં તેમના અને તેમના પતિ વિજય રાવળ વચ્ચે બાળકોની કસ્ટડી અંગે ચર્ચા ચાલી રહી હતી. ચર્ચા દરમિયાન બંને વચ્ચે મતભેદ વધતા વાતાવરણ તંગ બન્યું હતું.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મહિલાએ માતા તરીકે બાળકો પર પોતાનો અધિકાર હોવાની વાત રજૂ કરતાં પતિ ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ તેણે બહારથી એક કુહાડી લાવીને મહિલાના પગના ભાગે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હુમલા બાદ સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ્યોતિસંઘ સંસ્થાના કર્મચારીઓ અને આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. લોકો ભેગા થતાં હુમલાખોર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત મહિલાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોÂસ્પટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ, દંપતી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પારિવારિક વિખવાદ ચાલી રહ્યો હતો. મહિલા છેલ્લા કેટલાક મહિનાથી અલગ રહેતી હોવાનું પણ જાણવા મળ્યું છે. બાળકોની કસ્ટડી મેળવવા માટે તેમણે અગાઉ સંસ્થામાં અરજી કરી હતી, જેના અનુસંધાનમાં કાઉન્સેલિંગ પ્રક્રિયા ચાલી રહી હતી.
પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.આ ઘટના ફરી એકવાર પારિવારિક વિવાદોમાં કાઉન્સેલિંગ અને કાનૂની પ્રક્રિયા દરમિયાન સુરક્ષાના મુદ્દાને ચર્ચામાં લાવી છે.