દેશના પ્રગતિશીલ ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત કરવા અને ખેતીકામમાં ટેકો આપવાના હેતુથી શરૂ કરાયેલી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત આવતીકાલે દેશ અને રાજ્યના લાખો ખેડૂતોના ખાતામાં મોટી રકમ જમા થવા જઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દેશભરના અન્નદાતાઓ માટે સહાયનો આગામી હપ્તો સત્તાવાર રીતે રિલીઝ કરશે. આ અતિ મહત્વના અવસરને વધાવવા માટે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે ચૂકવવામાં આવનારી સહાય અંતર્ગત ગુજરાતના અંદાજે ૫૧.૨૮ લાખથી વધુ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ના માધ્યમથી સીધા જ રૂપિયા ૧૦૨૫ કરોડની માતબર સહાય જમા કરાવવામાં આવશે. ગાંધીનગરમાં યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ડિજિટલ હસ્તાંતરણના સાક્ષી બનશે. આ રકમ સીધી જ ખેડૂતોના ખાતામાં જતી હોવાથી વચેટિયાઓ પ્રથા સંપૂર્ણ નાબૂદ થઈ છે, જેને પગલે ખેડૂતોમાં ભારે ઉત્સાહનો માહોલ છે.
આ ઐતિહાસિક હપ્તો રિલીઝ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસેથી દેશભરના ખેડૂતોને વર્ચ્યુઅલી સંબોધિત કરશે અને ત્યાંથી જ એક સિંગલ કલીક દ્વારા સહાયની રકમ મુક્ત કરશે. પીએમ મોદીના આ આદેશ સાથે જ દેશભરના આશરે ૯.૪૪ કરોડ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં કુલ રૂપિયા ૧૮,૮૮૦ કરોડની જંગી સહાય રકમ ઓનલાઈન જમા થઈ જશે. કેન્દ્ર સરકારનું આ પગલું ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા અને ખરીફ પાકની મોસમમાં ખેડૂતોને બિયારણ તેમજ ખાતરની ખરીદીમાં આર્થિક મદદરૂપ સાબિત થશે.
પીએમ કિસાન યોજનાની શરૂઆતથી લઈને અત્યાર સુધીના ટ્રેક રેકોર્ડની વાત કરીએ તો, ગુજરાતના ખેડૂતોને આ યોજનાનો અભૂતપૂર્વ લાભ મળ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં અંદાજે ૬૯ લાખ જેટલા ખેડૂત પરિવારોને વિવિધ હપ્તાઓ સ્વરૂપે કુલ રૂપિયા ૨૩૦૮૩ કરોડની સહાય સત્તાવાર રીતે ચૂકવી દેવામાં આવી છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ગુજરાતના કૃષિ ક્ષેત્રને સદ્ધર બનાવવામાં આ કેન્દ્રીય યોજના કેટલી કારગત નીવડી છે. આવતીકાલના કાર્યક્રમને લઈને રાજ્યના કૃષિ વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા તમામ વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.