પંચમહાલના સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. પાવાગઢમાં પાટિયાપુલ નજીક અચાનક એક વિશાળ પથ્થર નીચે ગબડ્યો હતો જેના કારણે ત્યાંથી પસાર થઇ રહેલા ચાર યાત્રિકો તેની નીચે દબાઇ ગયા હતા. આ ઘટનામાં બે યાત્રિકોના મોત થયા છે અને તેમના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે કાટમાળ નીચે ફસાયેલા અન્ય લોકોને હાલોલ ફાયર વિભાગની ટીમે રેસક્યૂ કરીને બહાર કાઢ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અને યાત્રિકોમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી મુજબ, પાવાગઢ અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પહાડી વિસ્તાર હોવાના કારણે ડુંગર પરથી પાણીનો પ્રવાહ અત્યંત વેગવંતો બન્યો હતો. વરસાદના આ ભારે પાણીના પ્રવાહને કારણે ડુંગરની માટી અને પથ્થરો નબળા પડ્યા હતા, જેના પરિણામે પાટિયાપુલ પાસે એક મોટો પથ્થર ધસી પડ્યો હતો. કમનસીબે, આ જ સમયે ત્યાંથી પસાર થતા ત્રણ ભક્તો આ પથ્થરની ઝપેટમાં આવી ગયા હતા અને નીચે દબાઈ ગયા હતા. આ દુર્ઘટના વહેલી સવારે અંદાજે ૫:૦૦ વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને વહીવટી ટીમો એક્શનમાં આવી હતી. ડુંગર પર હાજર રોપ-વેની રેસક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પથ્થર નીચે દબાયેલા યાત્રિકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરી હતી. આ સમગ્ર મામલે પાવાગઢ પોલીસને તાકીદે જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસનો ઉચ્ચ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
ભારે વરસાદ અને પહાડી રસ્તાઓને કારણે રેસક્યૂ ઓપરેશનમાં થોડી મુશ્કેલી પડી હતી પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર અને બચાવકર્મીઓ દ્વારા યાત્રિકોને હેમખેમ બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ ઘટનામાં બે યાત્રિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે એક અન્ય યાત્રિક ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પાવાગઢમાં પથ્થરો ધરાશાયી થવાની ઘટના મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, મૃતકો અને ઇજાગ્રસ્તો ભારે વરસાદ પડતા નજીકની ઝૂંપડીમાં ઊભા હતા જ્યાં અચાનક ઉપરથી પથ્થરો પડ્યા હતા. આ ઘટનામાં કૂલ ચાર લોકો દબાયા હતા. પ્રત્યક્ષદર્શી અને રેસક્્યૂ કરનાર લોકોએ ગોઝારા દ્રશ્યો વચ્ચે બે લોકોનો જીવ બચાવ્યો હતો.
વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ સોશિયલ મીડિયા એકસ પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, “પાવાગઢ ખાતે થયેલી દુઃખદ ભૂસ્ખલનની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ ભક્તજનો ઝડપથી સ્વસ્થ થઈ પોતાના પરિવારજનો વચ્ચે પરત ફરે તેવી મા મહાકાળીના ચરણોમાં પ્રાર્થના. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. દુઃખની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.” ચોમાસામાં ડુંગર પર જતા ભક્તોને વહીવટી તંત્ર દ્વારા સાવચેતી રાખવા અને પાણીના તેજ પ્રવાહથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.








































