તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના સાંસદ અભિષેક બેનર્જીએ બુધવારે બનાવટી સહી કેસમાં સીઆઇડીની સંભવિત કાર્યવાહી સામે કોલકાતા હાઇકોર્ટનો સંપર્ક કર્યો. કોલકાતા હાઈકોર્ટે અભિષેક બેનર્જીને ટીએમસી ધારાસભ્યોના કથિત સહી બનાવટી કેસમાં રાજ્ય સીઆઈડીની તપાસના સંદર્ભમાં કોઈપણ દંડાત્મક કાર્યવાહીથી રક્ષણ મેળવવા માટે અરજી દાખલ કરવાની મંજૂરી આપી છે.
આ તપાસ બે ધારાસભ્યો દ્વારા વિધાનસભા સચિવાલયમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર આધારિત છે. ધારાસભ્યોએ આરોપ લગાવ્યો હતો કે બાલીગંજના ધારાસભ્ય શોભનદેવ ચટ્ટોપાધ્યાયને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવાના પ્રસ્તાવ પર તેમની સહીઓ બનાવટી હતી.
સસ્પેન્ડ કરાયેલ ટીએમસી ધારાસભ્યો રીતાબ્રત બેનર્જી અને સંદીપન સાહાની ફરિયાદના આધારે વિધાનસભા સચિવાલયે કોલકાતા પોલીસમાં એફઆઇઆર દાખલ કરી. બાદમાં, રાજ્યના ગૃહ સચિવે તપાસ સીઆઇડીને ટ્રાન્સફર કરી. આ ધારાસભ્યોને બાદમાં “પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ” માટે ટીએમસીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. અભિષેક બેનર્જીના વકીલોની મૌખિક વિનંતી પર, ન્યાયાધીશ અપૂર્બા સિંહા રેની વેકેશન બેન્ચે એફઆઇઆરને પડકારતી અને કોઈપણ દંડાત્મક કાર્યવાહીથી વચગાળાની સુરક્ષા માંગતી અરજી દાખલ કરવાની મંજૂરી આપી.
ટીએમસી સાંસદ બેનર્જીના વકીલોએ જણાવ્યું હતું કે આ કેસની સુનાવણી શુક્રવારે થવાની શક્યતા છે. દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના સોનારપુર શહેરમાં ચૂંટણી પછીની હિંસાના પીડિતાના ઘરે શનિવારે મુલાકાત દરમિયાન ટીએમસીના રાષ્ટીય મહાસચિવ પર હુમલો કરવામાં આવ્યો હતો.
સોમવારે, સીઆઇડીએ કથિત સહી બનાવટી કેસના સંદર્ભમાં અભિષેક બેનર્જીને સમન્સ પાઠવ્યું હતું. જા કે, તેમણે ખરાબ સ્વાસ્થ્યને કારણે એજન્સી સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો હતો અને તેમના હાજર રહેવા માટે સમય વધારવાની વિનંતી કરી હતી. નવી માહિતી અનુસાર, સીઆઇડીએ બેનર્જીને ૮ જૂને તપાસ અધિકારી સમક્ષ હાજર થવા કહ્યું છે.








































