જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં વિકાસના કામોના બિલો મંજૂર ન થતાં સરપંચોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. તાલુકાના ૪૨ ગામોના સરપંચો છેલ્લા ત્રણ દિવસથી હડતાળ પર ઉતર્યા છે. સરપંચોનો આક્ષેપ છે કે છેલ્લા ૬ મહિનાથી વિકાસના કામોના બિલો મંજૂર કરવામાં આવ્યા નથી, જેના કારણે ગામડાઓમાં વિકાસકાર્યો સંપૂર્ણપણે અટકી ગયા છે.
સરપંચોના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ મહિનાથી રસ્તા, પાણી, પુલ અને અન્ય મૂળભૂત સુવિધાઓ સંબંધિત કામો અટકી પડ્યા છે. બિલોની ચૂકવણી ન થતાં કોન્ટ્રાક્ટરો પણ કામ કરવા તૈયાર નથી, જેના કારણે ગામના લોકોને સીધી અસર પડી રહી છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે ગામોમાં પાણીની સમસ્યા, તૂટેલા રસ્તા અને અધૂરા પુલ જેવી સમસ્યાઓ સતત વધી રહી છે, છતાં જવાબદાર તંત્ર તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.
આ સમગ્ર મામલે મીઠાપુર ગામના સરપંચે પદ પરથી રાજીનામું આપી દીધું હોવાનું સામે આવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે એક વર્ષથી વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆતો કરવા છતાં કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી.સરપંચના જણાવ્યા મુજબ અધિકારીઓની ઢીલી નીતિના કારણે ગામના વિકાસ કામો અટકી ગયા છે અને લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.
સરપંચોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં જવાબદાર અધિકારીઓ સમસ્યાઓના ઉકેલ માટે ગંભીરતા દાખવી રહ્યા નથી. વિકાસના કામો માટે ફાળવાયેલા નાણાં સમયસર ન છોડાતા ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ અટકી ગયો છે.હડતાળ પર બેઠેલા સરપંચોએ ચેતવણી આપી છે કે જા વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
વિકાસના કામો અટકતાં ગ્રામ્ય વિસ્તારોમાં રોજિંદા જીવન પર અસર જાવા મળી રહી છે. ખાસ કરીને વરસાદી સીઝન પહેલા રસ્તા અને પાણીની સુવિધાઓના કામો પૂર્ણ ન થતાં લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને વિકાસના અટકેલા કામો ફરી શરૂ કરાવે અને સરપંચોની સમસ્યાનો ઉકેલ લાવે.









































