ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ છે.રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ૪૦ થી ૪૩.૫ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાઈ રહ્યું છે. દિવસની સાથે રાત્રે પણ ગરમ પવનો ફૂંકાતા ઉકળાટમાં ભારે વધારો થયો છે, જેનાથી લોકોનું જીવન અસહ્ય બની ગયું છે.હવામાન વિભાગના આંકડા મુજબ આજે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે અને અનેક શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે.
રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં ૪૩.૫ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં ૪૩.૨ ડિગ્રી અને રાજકોટમાં ૪૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં ૪૨.૮ ડિગ્રી, અમરેલીમાં ૪૨.૫ ડિગ્રી અને કંડલામાં ૪૨ ડિગ્રી તાપમાન રહ્યું હતું. આ ઉપરાંત ડીસામાં ૪૧.૬ ડિગ્રી અને ભુજમાં ૪૧ ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ગરમીથી અકળાઈ ઉઠ્યા હતા. સતત વધી રહેલા તાપમાનને કારણે બપોરના સમયે રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી જાવા મળી હતી. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરતાં લોકોને સાવચેતી રાખવા, પૂરતું પાણી પીવા અને બપોર દરમિયાન જરૂરી ન હોય તો બહાર ન નીકળવાની સલાહ આપી છે.
રાજ્યના અન્ય ઘણા વિસ્તારોમાં પણ તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ગરમીનો સૌથી વધુ પ્રકોપ જાવા મળી રહ્યો છે.મે મહિનાના પૂર્વાનુમાન અનુસાર ગુજરાતમાં આ મહિને સામાન્ય કરતાં વધુ હીટવેવના દિવસો નોંધાવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગરમીની તીવ્રતા વધુ રહેવાની આગાહી છે. રાત્રિના તાપમાનમાં પણ વધારો થતાં લોકોને રાહત મળવી મુશ્કેલ બની છે.આગામી થોડા દિવસોમાં ગરમીમાં થોડી વધઘટ થઈ શકે છે, પરંતુ મે મહિનાના અંત સુધી તીવ્ર ગરમીની સ્થિતિ યથાવત્ રહેવાની શક્યતા છે.







































