અમદાવાદમાં હજુ બે દિવસ પહેલા ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલોનો ઢગલો મળ્યાનો વિવાદ શમ્યો નથી ત્યાં નવો વિવાદ સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં કર્મચારીઓ અનિયમિત હોવાનું અને વિદ્યાર્થીઓના કામ થતા નહીં હોવાની વાત સાથે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇએ જબરદસ્ત વિરોધ નોંધાવ્યો. એનએસયુઆઇ વિરોધ કરવાનું છે તેની જાણ થતાં યુનિવર્સિટીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
પોલીસની આ કિલ્લાબંધીને ચકમો આપી એનએસયુઆઇ અને વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રારની ઓફિસમાં પહોંચી ગયા અને ઓફિસને તાળા મારી દીધા એટલું જ નહીં પરીક્ષા વિભાગને પણ તાળું મારી દેવાયું. બાદમાં પોલીસને જાણ થતાં ઓફિસમાં દોડી આવી અને એનએસયુઆઇના કાર્યકરોની અટકાયત કરી. જાકે કોઈને કોઈ કારણસર ગુજરાત યુનિવર્સિટીમાં વિવાદો સામે આવતા હોય છે અને વિવાદોને પગલે યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન પણ થતા હોય છે.
વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનો વિરોધ કરવાના છે તેવી જાણ થતાં પોલીસ પહોંચી જાય અને એ વિરોધ પ્રદર્શનને નિષ્ફળ બનાવી દેતી હોય છે. આ વખતે પણ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના સંગઠન એનએસયુઆઇએ વિદ્યાર્થીઓને સાથે રાખી વિરોધ કર્યો. સામાન્ય રીતે યુનિવર્સિટીમાં કર્મચારીઓ અને અધિકારીઓને આવવાનો સમય સવારે ૧૦ઃ૩૦ વાગ્યાનો છે જાકે આ મામલે વિદ્યાર્થીઓનો અને એનએસયુઆઇનો આક્ષેપ છે કે સવારે ૧૧થી ૧૧ઃ૩૦ વાગ્યા સુધી પણ કર્મચારીઓ આવતા નથી.
યુનિવર્સિટીમાં અલગ અલગ વિભાગોમાં આવી જ હાલત છે. જેથી વિદ્યાર્થીઓના યોગ્ય કામ થતા નથી. જેને લઈને એનએસયુઆઇએ દેખાવો કરવાનો એક કાર્યક્રમ રાખ્યો. જાકે એનએસયુઆઇના વિરોધની જાણ થતાં પોલીસનો મોટી સંખ્યામાં કાફલો યુનિવર્સિટી કેમ્પસમાં ગોઠવાઈ ગયો હતો. એટલું જ નહીં યુનિવર્સિટીમાં મુખ્ય દરવાજા આગળ પોલીસે ખુદ અવરજવર બંધ કરી હતી. પોલીસની આ કિલ્લાબંધી છતાં એનએસયુઆઇૈંના કાર્યકરો યુનિવર્સિટીમાં રજિસ્ટ્રારની ચેમ્બર સુધી પહોંચી ગયા અને તાળા મારી તાળાબંધી કરી દીધી. તેમજ પરીક્ષા વિભાગને પણ તાળા મારી દીધા.
સમગ્ર મામલે એનએસયુઆઇના આગેવાન વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું કે જા યુનિવર્સિટીમાં કર્મચારીઓ સમયસર હાજર થતા ન હોય અને વિદ્યાર્થીઓને કામ થવાની જગ્યાએ ધક્કા ખાવા પડતા હોય તો યુનિવર્સિટી ચાલુ રાખવાનો કોઈ મતલબ નથી. જેથી તેને તાળા મારી દેવાનો કાર્યક્રમ યોજ્યો હતો. જાકે વિદ્યાર્થીઓનો વિરોધ અને ફરિયાદ છતાં રજિસ્ટ્રાર તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. જાકે બાદમાં વિદ્યાર્થીઓની આ તાળાબંધી અટકાવવા પોલીસે એનએસયુઆઇના કાર્યકરોની અટકાયત કરી હતી.