ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેની કારકિર્દીમાં એક મોટું પગલું ભર્યું છે. તે હવે મુંબઈ છોડીને કાયમી ધોરણે બેંગલુરુ સ્થળાંતરિત થઈ ગયો છે. અત્યાર સુધી તે મુંબઈમાં રહેતો હતો, પરંતુ હવે તેનું નવું ઘર બેંગલુરુ હશે. પંડ્યાએ તેની ક્રિકેટ કારકિર્દીને લંબાવવા અને સુધારવા માટે આ નિર્ણય લીધો છે. તે હવે તેની બાકીની કારકિર્દી માટે બીસીસીઆઇના સેન્ટર ઓફ એક્સેલન્સમાં તાલીમ લેશે. તેણે બેંગલુરુમાં રહેવાનું નક્કી કર્યું છે જેથી તે તેનું કાયમી તાલીમ કેન્દ્ર બની શકે. નોંધપાત્ર વાત એ છે કે, તે આ પ્રકારનો નિર્ણય લેનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો છે.
બીસીસીઆઇનું સેન્ટર ઓફ એક્સેલન્સ, અથવા નેશનલ ક્રિકેટ એકેડેમી, બેંગલુરુની બહાર સ્થિત છે. હાર્દિકે આ સેન્ટરને પોતાનું કાયમી તાલીમ કેન્દ્ર બનાવ્યું છે.બીસીસીઆઇના એક સૂત્રએ જણાવ્યું હતું કે હાર્દિકે સીઓઇ નજીક એક ઘર પણ ભાડે રાખ્યું છે. હવે, જ્યારે પણ તે કોઈ મેચ, શ્રેણી કે આઇપીએલમાં નહીં રમે, ત્યારે તે અહીં રહેશે અને તેની ફિટનેસ અને રમત પર કામ કરશે.
સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે હાર્દિક પંડ્યા આગામી ૫ થી ૬ વર્ષ સુધી ક્રિકેટ રમવા માંગે છે. તેની ફિટનેસ જાળવવા માટે, તેની સાથે ઉપરાંત તેના પર્સનલ ફિઝિયોથેરાપિસ્ટ અને ફિટનેસ કોચ પણ રહેશે. હાર્દિક નેટ પ્રેક્ટિસ દરમિયાન તેને બોલિંગ કરનારા બોલરો માટે પણ ચૂકવણી કરે છે. એ નોંધનીય છે કે ખેલાડીઓ સામાન્ય રીતે ઈજામાંથી સ્વસ્થ થયા પછી ફક્ત પુનર્વસન અથવા ફિટનેસ પરીક્ષણો માટે અહીં આવે છે.
૩૨ વર્ષીય હાર્દિક પંડ્યા હાલમાં જાંઘની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. આ ઈજાને કારણે તે ઈંગ્લેન્ડ સામેની વનડે અને ટી ૨૦ શ્રેણીમાંથી પણ બહાર થઈ ગયો. તે છેલ્લા છ મહિનાથી બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમી સેન્ટરમાં પોતાની ફિટનેસ સુધારવા પર કામ કરી રહ્યો છે. તે હાલમાં બ્રેક પર છે અને ટૂંક સમયમાં તાલીમ ફરી શરૂ કરશે. જાકે, સંપૂર્ણ સ્વસ્થ થયા પછી પણ, ઝિમ્બાબ્વે સામેની ટી ૨૦ શ્રેણી માટે તેને ટીમમાં સામેલ કરવામાં આવશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.