સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ક્રિકેટ ટીમે આ વર્ષે ટી ૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો, પરંતુ તેમના ભવિષ્યની સ્ક્રીપ્ટ ટુર્નામેન્ટ પહેલા જ લખાઈ ગઈ હતી. ટી ૨૦ વર્લ્ડ કપ ૭ ફેબ્રુઆરીથી શરૂ થયો હતો, પરંતુ બીસીસીઆઇએ શરૂઆત પહેલા જ એશિયન ગેમ્સ માટે સંભવિત ખેલાડીઓની લાંબી યાદી ભારતીય ઓલિમ્પીક એસોસિએશનને મોકલી દીધી હતી. સૂત્રો સૂચવે છે કે સૂર્યાનું નામ આ યાદીમાં નહોતું. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે બીસીસીઆઇ થિંક ટેન્ક પહેલાથી જ જાણતી હતી કે સૂર્યકુમાર ૨૦૨૮ ટી ૨૦ વર્લ્ડ કપ યોજનાઓમાં ફિટ નથી.
ઓલિમ્પીકમાં ક્રિકેટનો સમાવેશ અને પાકિસ્તાન સાથેની કડવાશ ચરમસીમાએ પહોંચી ગઈ હોવાથી, એશિયન ગેમ્સ બીસીસીઆઇ માટે મહત્વપૂર્ણ બની ગઈ છે. બીસીસીઆઇએ એશિયન ગેમ્સની લાંબી યાદીમાં કેટલાક ફેરફારો કર્યા. એશિયન ગેમ્સમાં મુખ્ય ટીમ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ ટી ૨૦ વર્લ્ડ કપ જીતવા છતાં, ૩૫ વર્ષીય સૂર્યાને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો.
કોચ ગૌતમ ગંભીર તેમની લાંબા ગાળાની યોજનાઓ માટે જાણીતા છે. ૨૦૨૪ વર્લ્ડ કપ જીત્યા પછી, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી ૨૦ માંથી નિવૃત્તિની જાહેરાત કરી. ત્યારબાદ સૂર્યકુમારને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, તેમણે કહ્યું કે તેમને ૨૦૨૬ ટી ૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને જવાબદારી સોંપવામાં આવી હતી. ૨૦૨૬નો વર્લ્ડ કપ નજીક આવતાં, બોર્ડે ૨૦૨૮ના વર્લ્ડ કપ માટેની યોજનાઓનો અમલ શરૂ કર્યો. સૂર્યાના ખરાબ ફોર્મ અને વધતી ઉંમરે આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, જેના કારણે તે વર્લ્ડ કપ પહેલા જ ભવિષ્યની યોજનાઓમાંથી બહાર થઈ ગયો.















































