જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં શિક્ષણ હેતુ માટે ફાળવાયેલી કરોડોની સરકારી જમીનને લઈને વિવાદ ઊભો થયો છે. વર્ષો પહેલાં શિક્ષણ અને શિક્ષક તાલીમ માટે અનામત રાખવામાં આવેલી દાતાર મંઝિલની જમીન પર ગેરકાયદેસર દબાણ થયાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક જાગૃત નાગરિકો અને લોકપ્રતિનિધિઓએ દાવો કર્યો છે કે આ કિંમતી શૈક્ષણિક જમીનનો મૂળ હેતુ ભૂલાઈ ગયો છે અને હાલ તેના પર નાળિયેરીના બગીચાઓ ઉભા કરી ખાનગી લાભ મેળવવામાં આવી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, વર્ષ ૧૯૬૭માં રાજ્ય સરકાર દ્વારા માંગરોળ વિસ્તારના શૈક્ષણિક વિકાસ માટે આશરે ૩૬ વીઘા જેટલી કિંમતી જમીન કેળવણી વિભાગને ફાળવવામાં આવી હતી. અહીં શિક્ષક તાલીમ માટે જી.બી.ટી.સી. અને બાદમાં સી.પી.એડ. જેવી સંસ્થાઓ કાર્યરત હતી. આ સંસ્થાઓના કારણે સ્થાનિક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને રોજગારી માટે મહત્વપૂર્ણ તક મળતી હતી.
પરંતુ સમય જતાં વિવિધ કારણોસર શૈક્ષણિક સંસ્થાઓ બંધ થઈ ગઈ. ત્યારબાદ કેમ્પસ અને તેની મિલકતોની જાળવણીના અભાવે સમગ્ર વિસ્તાર અવ્યવસ્થિત બન્યો. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોલેજા બંધ થયા પછી જમીન પર ગેરકાયદેસર દબાણ શરૂ થયું અને ધીમે ધીમે વિશાળ વિસ્તાર ખાનગી ઉપયોગમાં લેવાતો ગયો.
મકતુપુર ગામના રહેવાસીઓએ દાવો કર્યો છે કે ભૂતકાળમાં અહીં આવેલી શૈક્ષણિક ઇમારતો અને સરકારી મિલકતો આજે જર્જરિત હાલતમાં છે અથવા સંપૂર્ણપણે નાશ પામી ગઈ છે. કિંમતી ફર્નિચર અને અન્ય સામગ્રી પણ સમય જતાં ગાયબ થઈ ગઈ હોવાનું કહેવાય છે.
આ મુદ્દે માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ પણ વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, દાતાર મંઝિલ વિસ્તાર સરકારી માલિકીની જમીન છે અને હાલમાં ત્યાં થયેલા દબાણો દૂર કરીને જમીનને મૂળ હેતુ માટે જાળવવી જરૂરી છે. તેમણે સમગ્ર મામલો જિલ્લા ફરિયાદ સંકલન સમિતિ સમક્ષ પણ રજૂ કર્યો છે.
બીજી તરફ મામલતદાર કચેરીએ જણાવ્યું છે કે ફરિયાદના આધારે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. સંબંધિત વિભાગોને સ્થળની ચકાસણી, જમીનનું આઇડેન્ટીફિકેશન અને દબાણોની વિગતો મેળવવા માટે સૂચના આપવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ કાયદેસરની કાર્યવાહી કરીને ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવશે.
સ્થાનિક નાગરિકોની મુખ્ય માંગ છે કે આ જમીનનો હેતુ બદલવામાં ન આવે અને ભવિષ્યમાં અહીં ફરીથી બી એડ,સીપી એન્જીનીયરીંગ અથવા અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થા શરૂ કરવામાં આવે. તેમનું માનવું છે કે માંગરોળ વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણની નવી તકો ઊભી કરવા માટે આ જમીનનો ઉપયોગ શિક્ષણ ક્ષેત્રે જ થવો જોઈએ.
હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં વહીવટી તંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણ બાદ વધુ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.