ગુજરાતમાં સરકારી ભરતી પ્રક્રિયાઓ અને અનામતના નિયમોના અમલીકરણ પર ફરી એકવાર બહુ મોટા સવાલો ઉભા થયા છે. જાણીતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પાટનગર ગાંધીનગરમાં એક ઈમરજન્સી પત્રકાર પરિષદ (પ્રેસ કોન્ફરન્સ) યોજીને સરકારી નોકરીઓમાં નકલી જાતિ પ્રમાણપત્રોના આધારે ઘૂસી જવાના એક બહુ મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. યુવરાજસિંહે સીધો આક્ષેપ કર્યો છે કે કેટલાક વગદાર ઉમેદવારો મૂળ ઓબીસી (ઓબીસી) કેટેગરીમાં આવતા હોવા છતાં, કાયદાની આંખમાં ધૂળ નાખીને ગેરકાયદેસર રીતે એસટીના સર્ટિફિકેટ મેળવી સરકારી નોકરીઓ હડપી રહ્યા છે.
યુવરાજસિંહ જાડેજાએ આ કૌભાંડ માત્ર હવામાં આક્ષેપો કરીને નહીં, પરંતુ મીડિયા સમક્ષ પાકા દસ્તાવેજી પુરાવાઓ મૂકીને ખુલ્લું પાડ્યું છે. તેમણે નવઘણ સરસૈયા નામના એક ચોક્કસ ઉમેદવારના અસલી ઓબીસી સર્ટિફિકેટ્‌સ પત્રકારોને બતાવ્યા હતા. તેમણે વધુમાં ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, વસુંધરા ગામમાં કોઈ આદિવાસી વસ્તી જ નથી, તેમ છતાં ત્યાંથી ખોટી રીતે અને સત્તાના દુરુપયોગ દ્વારા એસટી જ્ઞાતિના પ્રમાણપત્રો ઈશ્યુ કરી દેવામાં આવ્યા છે. ઓબીસીના ઉમેદવારો આ રીતે એસટી અનામતનો ખોટો લાભ ખાટતા હોવાથી, અસલી અને લાયક આદિવાસી યુવાનોના હક પર ત્રાપ વાગી રહી છે અને જે-તે ગામની વસ્તીના આંકડા (ડેમોગ્રાફી) પર પણ શંકાની સોય ઉઠી છે.
વિદ્યાર્થી નેતાએ મીડિયા સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ એક કે બે ઉમેદવાર પૂરતો સીમિત મામલો નથી. સરકારી તંત્ર અને વચેટિયાઓની મિલીભગતથી આખું એક સંગઠિત નેટવર્ક લાંબા સમયથી સક્રિય હોવાની પૂરેપૂરી આશંકા છે. કાયદેસરના અને મહેનતુ આદિવાસી ઉમેદવારો અન્યાયનો ભોગ ન બને તે માટે આ સમગ્ર બોગસ સર્ટિફિકેટ કૌભાંડની કોઈ ઉચ્ચ સ્તરીય કમિટી અથવા સ્વતંત્ર એજન્સી દ્વારા તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સરકારી સ્તરે કરવામાં આવી છે. જા આ કેસની તટસ્થ તપાસ થશે, તો આગામી દિવસોમાં સચિવાલય અને વહીવટી તંત્રના ઘણા મોટા માથાઓની સંડોવણી અને નામો બહાર આવી શકે છે.