રાજકોટમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને સમાજના અગ્રણી આગેવાન નરેશ પટેલના નિવાસસ્થાને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે. બંને નેતાઓ વચ્ચે થયેલી બેઠકને લઈને વિવિધ પ્રકારની અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટની એસ્ટ્રોન સોસાયટીમાં આવેલા નરેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં બંને વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હોવાનું જાણવા મળ્યું છે. જાકે બેઠકનો સત્તાવાર એજન્ડા જાહેર કરવામાં આવ્યો નથી.
તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન નરેશ પટેલે “હવે હું આરામ કરીશ” પ્રકારનું નિવેદન આપ્યું હતું, જેના કારણે તેમના આગામી સામાજિક અને જાહેર જીવનને લઈને ચર્ચાઓ શરૂ થઈ હતી. આ નિવેદન બાદ થયેલી આ મુલાકાતે રાજકીય ચર્ચાઓને વધુ વેગ આપ્યો છે.
બેઠક બાદ રાજકીય વિશ્લેષકો અને વિવિધ વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો વ્યક્ત થઈ રહી છે. કેટલાક લોકો આ મુલાકાતને માત્ર સૌજન્ય મુલાકાત ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક તેને ભવિષ્યના રાજકીય સમીકરણો સાથે પણ જાડી રહ્યા છે.
નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે અગાઉ પણ અનેક વખત ચર્ચાઓ થઈ ચૂકી છે. જાકે તેમણે અત્યાર સુધી કોઈ સત્તાવાર રાજકીય ભૂમિકા સ્વીકારી નથી. હાલની બેઠક બાદ ફરી એકવાર સવાલ ઊભો થયો છે કે શું તેઓ ભવિષ્યમાં રાજકીય ઇનિંગની શરૂઆત કરશે કે પછી જાહેર જીવનમાં અન્ય કોઈ નવી જવાબદારી સંભાળશે?
હાલ બેઠકને લઈને કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. તેથી બેઠકમાં શું ચર્ચા થઈ અને તેનો રાજકીય અર્થ શું છે તે અંગે સ્પષ્ટતા માટે સૌની નજર આગામી દિવસોમાં આવનારી પ્રતિક્રિયાઓ પર રહેશે.