પાટણ જિલ્લાના વારાહી તાલુકાના ગોખાંતર ગામમાં પારિવારિક વિવાદે કરુણ વળાંક લીધો છે. કામધંધો ન કરવા બાબતે પિતાએ ઠપકો આપતા પુત્રએ પોતાના જ પિતાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.
મૃતકની ઓળખ ૫૦ વર્ષીય જમાલશા ફકીર તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ આરોપીના થોડા સમય પહેલાં જ લગ્ન થયા હતા, પરંતુ લગ્ન બાદ પણ તે કોઈ કામધંધો કરતો ન હતો. આ બાબતે પિતાએ વારંવાર સમજાવ્યા બાદ ઠપકો આપ્યો હતો.
આ બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બનતા પુત્રએ પિતા પર જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હુમલામાં ગંભીર ઈજાઓ થતાં જમાલશા ફકીરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં વારાહી પોલીસ તાત્કાલિક ગોખાંતર ગામ પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પુરાવા એકત્ર કરી રહી છે.આ ઘટનાએ ગોખાંતર ગામ સહિત સમગ્ર પંથકમાં શોક અને ચકચારનો માહોલ સર્જ્યો છે.









































