ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં મિલાવટ કરીને લોકોના આરોગ્ય સાથે ગંભીર રમત રમતા નફાખોરો સામે પ્રશાસને લાલ આંખ કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારમાંથી અસલી દેશી ઘીના નામે કેમિકલયુક્ત બનાવટી ઘી વેચવાના એક મોટા કૌભાંડનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે. આ રેડ દરમિયાન ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક સેમ્પલ લઈ સ્થળ પર જ નકલી ઘીના જથ્થાનો નાશ કર્યો છે.
મળતી સત્તાવાર વિગતો અનુસાર, જામ ખંભાળિયાના સલાયામાં આવેલી પાંજરાપોળના મેઈન ગેટ પાસે કેટલાક શખ્સો દ્વારા અસલી શુદ્ધ દેશી ઘીના નામે નકલી અને કેમિકલયુક્ત ઘીનું વેચાણ થઈ રહ્યું હોવાની પાકી અને ગુપ્ત બાતમી ર્જીંય્ પોલીસને મળી હતી. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે સ્થાનીય ટીમ સાથે રાખીને ઓચિંતી રેડ પાડી હતી. તપાસ દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે માત્ર વધુ નફો કમાવવાની લાલચે ઝેરી કેમિકલ અને અન્ય સસ્તી સામગ્રીઓનું મિશ્રણ કરીને તદ્દન અસલી જેવું જ સુગંધિત ડુપ્લીકેટ દેશી ઘી તૈયાર કરવામાં આવી રહ્યું હતું.
એસઓજી પોલીસે ફેક્ટરી અને વેચાણના સ્થળે તપાસ કર્યા બાદ તાત્કાલિક દ્વારકા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (ફૂડ વિભાગ) ને જાણ કરી હતી. ફૂડ સેફ્ટી ઓફિસર્સની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવીને શંકાસ્પદ ઘીના સત્તાવાર સેમ્પલ મેળવ્યા હતા. આ સેમ્પલને વધુ તપાસ અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
બીજી તરફ, આ ઘી બજારમાં જઈને લોકોના પેટમાં ન પધરાવાય અને ગ્રાહકોના આરોગ્યને કોઈ નુકસાન ન થાય તે માટે ફૂડ વિભાગે સ્થળ પર હાજર આશરે રૂ ૨૭૦૦ ની કિંમતનું ૯ કિલો જેટલું મિલાવટી ઘી જપ્ત કર્યું હતું અને કાયદાકીય પ્રક્રિયા હેઠળ તેનો જાહેરમાં સ્થળ પર જ કેમિકલ નાખીને નાશ કર્યો હતો.
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર રમત રમતા આ મિલાવટી ઘીના કૌભાંડમાં સલાયાના સ્થાનિક કયા વેપારીઓ સામેલ છે, આ ડુપ્લીકેટ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને ઘીમાં ભેળવવામાં આવતું જાખમી કેમિકલ ક્યાંથી લાવવામાં આવતું હતું, તે તમામ દિશામાં પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર તમામ લોકો સામે કોર્ટમાં કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.