ગુજરાતમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાયને હજુ લગભગ એક મહિનો બાકી છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં આ સિઝનનો સરેરાશ વરસાદ ૧૦૦ ટકાને પાર પહોંચી ગયો છે, બીજી તરફ કચ્છમાં અત્યાર સુધીમાં માત્ર ૨૯ ટકા વરસાદ નોંધાયો છે.ગુજરાતમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની સામાન્ય વિદાય તારીખ ૧૫ સપ્ટેમ્બર છે. રાજ્યમાં ૧૬ ઓગસ્ટ સુધીમાં સિઝનનો સરેરાશ વરસાદ ૨૬.૫૨ ઇંચ એટલે કે ૭૪.૧૧ ટકા નોંધાયો છે. ગયા વર્ષે આ જ દિવસે રાજ્યમાં સરેરાશ વરસાદ ૬૫.૬૭ ટકા હતો. આ વર્ષે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું વિતરણ લગભગ સમાન રહ્યું છે.
રાજ્ય ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (એસઈઓસી), ગાંધીનગરના આંકડા મુજબ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં સિઝનનો વરસાદ ૧૦૦ ટકાને પાર કરી ગયો છે. નવસારીમાં સૌથી વધુ ૧૧૯.૮૩ ટકા, વલસાડમાં ૧૧૨.૯૭ ટકા અને સુરતમાં ૧૦૪.૫૧ ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના કુલ ૩૭ તાલુકામાં ૩૯.૩૭ ઇંચથી વધુ વરસાદ પડી ચુક્યો છે.રાજ્યના આઠ જિલ્લામાં સિઝનનો વરસાદ હજુ ૫૦ ટકાથી ઓછો છે, તેમાં દેવભૂમિ દ્વારકામાં ૬.૪૧ ટકા, પોરબંદરમાં ૧૭.૮૮ ટકા, કચ્છમાં ૨૯.૨૫ ટકા, જામનગરમાં ૨૮.૮૮ ટકા, રાજકોટમાં ૪૬.૭૭ ટકા, અરવલ્લીમાં ૪૫.૬૯ ટકા, સાબરકાંઠામાં ૪૬.૪૨ ટકા અને ગીર સોમનાથમાં ૪૬.૩૩ ટકા વરસાદ નોંધાયો છે.કચ્છમાં અત્યાર સુધીમાં માત્ર ૫.૭૩ ઇંચ વરસાદ એટલે કે ૨૯.૧૩ ટકા વરસાદ નોંધાયો છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં કચ્છમાં ૬૫.૪૬ ટકા વરસાદ થયો હતો. આમ, કચ્છમાં આ વર્ષે વરસાદની Âસ્થતિ ચિંતાજનક રીતે ઓછી છે.
૧ જૂનથી ૧૬ ઓગસ્ટ દરમિયાન રાજ્યના ૧૯ જિલ્લામાંથી કુલ ૮૪,૩૧૮ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે ૨૪ જિલ્લામાંથી ૯,૮૨૨ લોકોને બચાવવામાં આવ્યા છે. સ્થળાંતર કરાયેલા લોકોમાં નવસારી, વલસાડ અને સુરત જિલ્લાનો હિસ્સો સૌથી વધુ છે. આ ત્રણ જિલ્લામાંથી જ ૬૮,૨૬૬ લોકો એટલે કે કુલ સ્થળાંતર કરાયેલા લોકોના ૮૧ ટકા, સલામત સ્થળે ખસેડાયા છે. બચાવવામાં આવેલા લોકોમાંથી પણ ૭,૪૧૨ લોકો આ ત્રણ જિલ્લામાંથી છે.