ધારી તાલુકાના ચલાલામાં આવેલ ગાયત્રી સંસ્કાર ધામ અને સરકારી આયુર્વેદિક હોસ્પિટલ-સરસિયાના સંયુક્ત ઉપક્રમે એક વિશાળ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આયુર્વેદિક સારવારની સાથે દંત વિભાગ દ્વારા દાંત કાઢવા તેમજ નવા ચોકઠા બેસાડવાની સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. ઉપરાંત, આંખના રોગોના દર્દીઓને વધુ સારવાર અને ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસ બાપુ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. સમગ્ર આયોજનમાં ગાયત્રી સંસ્કાર ધામના વડા સંત ડો. રતિદાદા દ્વારા દર્દીઓ માટે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા સન્માનિત મહેશભાઈ મહેતા અને શીતલબેન મહેતાએ આ કેમ્પનું સફળ સંચાલન કર્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિથી સ્થાનિક વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને ઘરઆંગણે શ્રેષ્ઠ સારવાર મળી રહેતા સંસ્થાની કામગીરીને બિરદાવવામાં આવી હતી.










































