ભારતીય ગુપ્તચર એજન્સીઓએ બ્રિટન અને કેનેડામાં રહેતા ભારતીય સમુદાયની સલામતી અંગે ગંભીર ચેતવણી જારી કરી છે. ગુપ્તચર અહેવાલો અનુસાર, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી, આઇએસઆઇ, અને ખાલિસ્તાન સમર્થકો ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થક માનવામાં આવતા લોકો સામે હુમલાઓનું કાવતરું ઘડી રહ્યા છે. ગુપ્તચર અધિકારીઓના જણાવ્યા અનુસાર, તાજેતરના વર્ષોમાં બ્રિટન અને કેનેડામાં ભારતીય સમુદાય વિરુદ્ધ નફરતના ગુનાઓ અને હિંસક ઘટનાઓમાં વધારો જાવા મળ્યો છે, જે કથિત રીતે ખાલિસ્તાન સમર્થકો દ્વારા આચરવામાં આવી રહ્યા છે. જ્યારે આવી ઘટનાઓ અગાઉ છૂટાછવાયા હતા, ત્યારે હવે એવી આશંકા છે કે તે વધુ સંગઠિત રીતે કરવામાં આવી શકે છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ આ સંભવિત હુમલાઓને રોકવા માટે પશ્ચિમી સુરક્ષા એજન્સીઓ સાથે સંકલનમાં કામ કરી રહી છે.
એક ગુપ્તચર બ્યુરોના અધિકારીએ જણાવ્યું હતું કે ખાલિસ્તાન ચળવળને ટેકો આપતી આઇએસઆઇએ યુરોપમાં કાર્યરત તેના નેટવર્કને બ્રિટન અને કેનેડામાં ભારતીય સમુદાય વિરુદ્ધ પ્રવૃત્તિઓને વધુ તીવ્ર બનાવવા સૂચના આપી છે. અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટનાઓ હવે સુનિયોજિત અભિયાનનો ભાગ હોવાની શંકા છે. અધિકારીએ કહ્યું, “આઇએસઆઇ ભારતીય સમુદાય સામે શ્રેણીબદ્ધ સંકલિત હુમલાઓનું આયોજન કરી રહ્યું છે.” આ તત્વો લોકોને ભારત સમર્થક અથવા વડા પ્રધાન મોદીના સમર્થક તરીકે દર્શાવીને નિશાન બનાવી શકે છે અને આ બહાના હેઠળ આવા હુમલા કરવાની તૈયારી કરી રહ્યા છે.અધિકારીના મતે,આઇએસઆઇની વ્યૂહરચનામાં આ ફેરફાર ખાલિસ્તાન ચળવળમાં ગતિના અભાવથી હતાશાનું પરિણામ છે. તેમણે એમ પણ કહ્યું કે લક્ષ્ય ફક્ત ભારતીય સમુદાય જ નહીં, પરંતુ ખાલિસ્તાન સંબંધિત કેસોની તપાસ અને કાર્યવાહી કરતી ભારતીય એજન્સીઓને પણ લક્ષ્ય બનાવવાની યોજનાઓ બનાવવામાં આવી રહી છે.
બીજા એક અધિકારીએ જણાવ્યું કે આઇએસઆઇ હિંસક હુમલાઓ કરવા માટે તેના ગેંગસ્ટર નેટવર્કનો ઉપયોગ કરી શકે છે. આ માટે, યુરોપ અને ભારતમાં કાર્યરત મોડ્યુલોને સક્રિય કરવા સૂચનાઓ આપવામાં આવી છે. ભારતમાં, સ્થાનિક ગુંડાઓ દ્વારા હુમલાઓ કરવાની યોજના છે.અધિકારીઓના મતે, તાજેતરના વર્ષોમાં બ્રિટન અને કેનેડામાં ખાલિસ્તાન ચળવળને સમર્થનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અગાઉ, સ્થાનિક વસ્તીનો એક ભાગ ચળવળ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતો હતો, પરંતુ હવે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. લોકો માને છે કે ખાલિસ્તાન ચળવળ અને તેના સંકળાયેલા ગેંગસ્ટર નેટવર્ક હવે તેમના જણાવેલા ઉદ્દેશ્યોને પૂર્ણ કરવાને બદલે ખંડણી, ડ્રગ હેરફેર અને હથિયારોની દાણચોરી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે.
અધિકારીઓનું કહેવું છે કે બ્રિટન અને કેનેડામાં રહેતા મોટાભાગના ભારતીય મૂળના લોકો શાંતિપૂર્ણ જીવન ઇચ્છે છે. ખાલિસ્તાન તરફી તત્વોની હિંસક પ્રવૃત્તિઓ માત્ર સામાજિક સંવાદિતાને જ અસર કરી રહી નથી પરંતુ ભારતીય સમુદાયની છબીને પણ નુકસાન પહોંચાડી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચેની મુલાકાત બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો થવાથી ભારતીય એજન્સીઓને ખાલિસ્તાન તરફી નેટવર્ક્સ સામે કાર્યવાહી કરવાની તક મળી છે.અધિકારીઓ કહે છે કે મર્યાદિત સફળતાથી હતાશ થઈને,આઇએસઆઇ અને ખાલિસ્તાન તરફી આતંકવાદી નેટવર્ક્સે હવે ભારતીય તપાસ એજન્સીઓ અને વિદેશમાં ભારતીય સમુદાયના સભ્યોને નિશાન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.







































