વીજપોલ વળતર નીતિના મુદ્દે ગુજરાતના ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા ૧૯ દિવસથી ચાલી રહેલા આમરણાંત ઉપવાસના અંત છતાં ખેડૂતોની લડત અટકી નથી, પરંતુ હવે તે નવા સ્વરૂપમાં આગળ વધી રહી છે. ખેડૂતોએ સરકાર સામે આરપારની લડાઈ લડવા માટે ‘આંદોલન પાર્ટ-૩’ નું રણશિંગું ફૂંક્યું છે.
આંદોલનની આગામી રણનીતિ નક્કી કરવા માટે આજે મોરબીના જેતપર ગામે ગુજરાતના ૨૩ જિલ્લાના ખેડૂત આગેવાનોની એક મહત્વપૂર્ણ મહાબેઠક મળી . આ બેઠકમાં આંદોલનને રાજ્યવ્યાપી કઈ રીતે બનાવવું અને સરકાર સામે કયા મુદ્દાઓ પર ભાર મૂકવો તે અંગે ગહન ચર્ચા કરવામાં આવી
ખેડૂતોનું સ્પષ્ટ માનવું છે કે સરકારની વર્તમાન વીજપોલ વળતર નીતિ તદ્દન ખેડૂત વિરોધી છે. ખેડૂત આગેવાનોના મતે આ નીતિમાં ખેડૂતોના હિતોને બદલે વીજ કંપનીઓના ફાયદાને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. ખેડૂતો સાથે કોઈ પણ પ્રકારની પરામર્શ કર્યા વિના આ નીતિ લાદવામાં આવી છે, જે તેમને સ્વીકાર્ય નથી. જ્યાં સુધી જમીન અને પાકનું યોગ્ય અને પૂરતું વળતર નહીં મળે, ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.
આ મહાબેઠકમાં આગામી દિવસોમાં સરકાર અને ખાનગી વીજ કંપનીઓ સામે લડતનું નેતૃત્વ કરવા માટે એક નિષ્પક્ષ અને પ્રમાણિક ખેડૂત આગેવાનોની નવી કમિટીની પણ રચના કરવામાં આવશે. ખેડૂતોએ સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, ઉપવાસ આંદોલન એ માત્ર શરૂઆત હતી, હવે આંદોલનનો ત્રીજા તબક્કો સરકાર માટે વધુ કપરો સાબિત થશે. સમગ્ર ગુજરાતના ખેડૂતોને એક મંચ પર લાવીને રાજ્યવ્યાપી આંદોલન છેડવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. જેતપરની બેઠક બાદ ટૂંક સમયમાં જ આંદોલન પાર્ટ-૩ ની સત્તાવાર જાહેરાત અને સરકાર વિરુદ્ધના મોરચાની રૂપરેખા જાહેર કરવામાં આવશે.