ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રી-મોન્સૂન એકટીવિટી સક્રિય રહેતા વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જાવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ, વીજળીના ચમકારા અને તેજ પવન સાથે વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાક માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ કેટલાક દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે ગાજવીજ અને મધ્યમ વરસાદ પડવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જેવા જિલ્લાઓમાં ખાસ સતર્કતા રાખવાની સલાહ આપવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ અને બોટાદ સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.
અમદાવાદ શહેરમાં આગામી ૨૪ કલાક દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતા છે. શહેરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જાકે ગરમીમાં ખાસ રાહત મળવાની શકયતા ઓછી છે અને મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી સેલ્સીયસની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હાલમાં ગોવા અને કર્ણાટક તરફ આગળ વધી રહ્યું છે. દક્ષિણ ભારતમાં મેંગ્લોર સુધી ચોમાસું પહોંચી ચૂક્યુ છે. જા વર્તમાન ગતિ યથાવત રહેશે તો ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું ૧૫ જૂન આસપાસ બેસી શકે છે.
આગામી ૧૧ જૂન સુધી ઉત્તર ગુજરાત અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેવાની શકયતા છે. જાકે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં હાલમાં પ્રી-મોન્સૂન એકટીવિટી સક્રિય હોવાથી ખેડૂતો અને નાગરિકોને હવામાન વિભાગની આગાહી પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.