નર્મદા જિલ્લામાં વર્ષો જૂના જમીન કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમે મહત્વપૂર્ણ કાર્યવાહી કરતાં નાંદોદના તત્કાલીન મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલાની ધરપકડ કરી છે. સરકારી રેકોર્ડમાં ગેરરીતિ કરીને અને નિયમોની અવગણના કરીને સરકારને રૂ. ૧.૨૯ કરોડથી વધુનું આર્થિક નુકસાન પહોંચાડ્યાનો તેમના પર ગંભીર આરોપ છે.
સીઆઇડી ક્રાઇમની તપાસ મુજબ, નાંદોદ તાલુકાના બખર ગામની કેટલીક જમીનો સંબંધિત હક્કપત્રક નોંધ વર્ષ ૧૯૯૯માં જ રદ થઈ ચૂકી હતી. તેમ છતાં, વર્ષ ૨૦૦૮માં આ જ નોંધને ફરીથી અમલમાં લાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તપાસ એજન્સીનો આક્ષેપ છે કે તત્કાલીન મામલતદારે કાયદાકીય ચકાસણી કર્યા વિના અને નિયમોની અવગણના કરીને નોંધને પ્રમાણિત કરી હતી. તપાસમાં ખુલાસો થયો છે કે સંબંધિત જમીનધારકોની ખેડૂત તરીકેની પાત્રતા અંગે જરૂરી તપાસ કરવામાં આવી નહોતી. આ ગેરરીતિના કારણે સરકારી આવકને રૂ. ૧,૨૯,૩૯,૧૫૦ જેટલું નુકસાન થયું હોવાનું પ્રાથમિક તારણોમાં સામે આવ્યું છે. સીઆઇડી ક્રાઇમે પુરાવાઓના આધારે પૂર્વ મામલતદાર અટકાયત કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. તપાસ એજન્સી હવે આ સમગ્ર પ્રકરણમાં અન્ય સરકારી કર્મચારીઓ, વચેટિયાઓ અથવા ભૂમાફિયાઓની સંડોવણી હતી કે નહીં તેની પણ તપાસ કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસમાં આગામી દિવસોમાં વધુ ખુલાસા અને અન્ય સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી થવાની શક્્યતા છે. જમીન રેકોર્ડ સાથે ચેડાં અને સરકારી તિજારીને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને આ કેસને મહેસૂલ વિભાગના મહત્વના ભ્રષ્ટાચારના કેસોમાંનો એક માનવામાં આવી રહ્યો છે.









































