ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પાણીમાં ડૂબી જવાની દુઃખદ ઘટનાઓ સામે આવી છે. કચ્છ, સુરત અને બનાસકાંઠામાં બનેલી અલગ-અલગ ઘટનાઓમાં કુલ ચાર લોકોના મોત થતા પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઉનાળાની ગરમી વચ્ચે પાણીમાં ન્હાવા કે મોજ-મસ્તી કરવા જવું કેટલું જાખમી સાબિત થઈ શકે છે તેની આ ઘટનાઓ કરુણ યાદ અપાવે છે.
કચ્છના ગાંધીધામ નજીક આવેલા અંતરજાળ વિસ્તારના પાતળિયા હનુમાન મંદિર પાસે આવેલા તળાવમાં ૧૪ વર્ષીય સગીર ડૂબી જતાં તેનું મોત થયું હતું. બાળક તળાવમાં ન્હાવા માટે ગયો હતો, પરંતુ અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે શોધખોળ શરૂ કરી હતી. લાંબી કામગીરી બાદ લગભગ ૧૬ કલાક પછી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં એક પરિવાર માટે આનંદની ક્ષણો દુઃખમાં ફેરવાઈ ગઈ હતી. હળધરૂ ગામે પરિવાર સાથે ફરવા અને ન્હાવા ગયેલો ૮ વર્ષીય ધર્મ તળાવિયા સ્વિમિંગ પુલના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. માતાની નજર સામે જ બનેલી આ ઘટનાએ સમગ્ર પરિવારને આઘાતમાં મૂકી દીધો હતો. બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ મામલે આગળની તપાસ શરૂ કરી છે.
આ દરમિયાન બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલા મુક્તેશ્વર ડેમમાં પણ બે યુવકોના ડૂબી જવાથી મોત થયા હતા. કરનાળા ગામના શ્રવણનાથ મદારી અને વડગામના કાનુ મદારી પોતાના મિત્રો સાથે ડેમ પર આવ્યા હતા. બંને યુવકો ડેમમાં ન્હાવા માટે પાણીમાં ઉતર્યા હતા, પરંતુ પાણીની ઊંડાઈ અને તળિયે રહેલી ચીકણી માટીના કારણે બહાર નીકળી શક્યા નહોતા. સ્થાનિકોને ઘટનાની જાણ થતાં તરવૈયાઓ અને પોલીસની મદદથી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.