આર્થિક બાબતોની સમિતિએ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ૨૦૨૬-૨૭ માર્કેટિંગ સીઝન માટે ૧૪ ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી.
ખેડૂતોને તેમના ઉત્પાદન માટે નફાકારક ભાવ મળે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે ૨૦૨૬-૨૭ માર્કેટિંગ સીઝન માટે ખરીફ પાક માટે એમએસપીમાં વધારો કર્યો છે. ગયા વર્ષની સરખામણીમાં એમએસપીમાં સૌથી વધુ વધારો સૂર્યમુખીના બીજ (૬૨૨ પ્રતિ ક્વીન્ટલ), ત્યારબાદ કપાસ (૫૫૭ પ્રતિ ક્વીન્ટલ), નાઈજરસીડ (૫૧૫ પ્રતિ ક્વીન્ટલ) અને તલ (૫૦૦ પ્રતિ ક્વીન્ટલ) માટે ભલામણ કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ૩૭,૫૦૦ કરોડના રોકાણ સાથે કોલસા ગેસિફિકેશન પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવાની યોજનાને પણ મંજૂરી આપવામાં આવી. કેન્દ્રીય મંત્રી અÂશ્વની વૈષ્ણવે મોદી મંત્રીમંડળના નિર્ણયો વિશે માહિતી આપી. તેમણે કહ્યું, “કોલસા ગેસિફિકેશન પર એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગેસની જરૂરિયાતો અને ભૂ-રાજકીય પરિસ્થિતિઓના આધારે આત્મનિર્ભર કેવી રીતે બનવું?”
તેમણે કહ્યું, “ભારત પાસે કોલસાનો ભંડાર વિપુલ પ્રમાણમાં છે. ભારત પાસે આગામી ૨૦૦ વર્ષની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતો કોલસો છે. તો, શું આપણે તે કોલસાનો ઉપયોગ ગેસ ઉત્પન્ન કરવા માટે કરી શકીએ છીએ? આ દિશામાં સારા પ્રયાસો થઈ રહ્યા હતા, અને આજે એક નિર્ણય લેવામાં આવ્યો છે – કોલસા ગેસિફિકેશન યોજના. કોલસામાંથી ગેસનું ઉત્પાદન અને પછી તે ગેસમાંથી ખાતર, કોલસામાંથી ગેસનું ઉત્પાદન અને પછી તે ગેસમાંથી વીજળી, કોલસામાંથી ગેસનું ઉત્પાદન અને પછી તે ગેસમાંથી વિવિધ પ્રકારના રસાયણો. આ એક મોટો નિર્ણય છે.”
વૈષ્ણવે માહિતી આપી કે રેલ્વે મંત્રાલયના અમદાવાદ (સરખેજ) – ધોલેરા સેમી-હાઈ-સ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટ, જેનો ખર્ચ આશરે ૨૦,૬૬૭ કરોડ છે, તેને પણ મંજૂરી આપવામાં આવી છે. ભારતના પ્રથમ સેમી-હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ તરીકે, તે દેશભરમાં સેમી-હાઈ-સ્પીડ રેલના તબક્કાવાર વિસ્તરણ માટે એક અગ્રણી પ્રોજેક્ટ અને સંદર્ભ મોડેલ તરીકે સેવા આપશે.
આ ભારતીય રેલ્વેનો પહેલો સેમી-હાઈ-સ્પીડ પ્રોજેક્ટ હશે જે સ્વદેશી રીતે વિકસિત ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ સેક્શન અમદાવાદ, ધોલેરા એસઆઇઆર, આગામી ધોલેરા એરપોર્ટ અને લોથલ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વચ્ચે સુધારેલ કનેકટીવિટી પ્રદાન કરશે. અમદાવાદને ધોલેરા સાથે જોડવાથી મુસાફરો માટે મુસાફરીનો સમય ઓછો થશે, દૈનિક મુસાફરી આરામદાયક બનશે અને તે જ દિવસમાં પરત ફરવાની મુસાફરી શક્ય બનશે.
કેન્દ્રીય મંત્રી અશ્વીની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “કેન્દ્રીય મંત્રીમંડળે જાહેર ખાનગી ભાગીદારી મોડેલ હેઠળ ખાનગી ભાગીદારને સંડોવતા લાંબા ગાળાના લાઇસન્સ દ્વારા નાગપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના અપગ્રેડેશન અને આધુનિકીકરણને મંજૂરી આપી છે.”








































