ધોરાજી BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી ૧૫ થી ૧૭ મે, ૨૦૨૬ દરમિયાન ‘મારો રામ પરિવાર’ વિષયક ત્રણ દિવસીય સંત પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. આ પારાયણમાં વડોદરા મંદિરના વિદ્વાન વક્તા અને મોટીવેશન સ્પીકર શીલનિધિ સ્વામી કથામૃતનો લાભ આપશે. પ્રમુખસ્વામી મહારાજ પાસેથી દીક્ષા મેળવનાર સ્વામીજી છેલ્લા ૩૪ વર્ષથી સાધુતા શોભાવી રહ્યા છે.કથાના સમયની વિગત મુજબ, ૧૫ અને ૧૬ મેના રોજ રાત્રે ૮ઃ૪૫ વાગ્યે તેમજ ૧૭ મેના રોજ સાંજે ૫ઃ૩૦ વાગ્યે કાર્યક્રમ યોજાશે. કલ્યાણમૂર્તિ સ્વામી અને અક્ષરમંગલ સ્વામીના માર્ગદર્શન હેઠળ ધોરાજી સત્સંગ મંડળ આ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યું છે. ધોરાજી સહિત આસપાસના ગામોના હરિભક્તો અને ધર્મપ્રેમી જનતાને આ ભક્તિમય અવસરનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.